મેલબર્ન સ્થિત એક પરિવારે એસબીએસ પંજાબી સાથે તેમનો અંગત અનુભવ વહેંચતા કહ્યું હતું કે એરપોર્ટ પર પહોંચ્યા પછી Thai airwaysના ચેક ઇન સ્ટાફએ તેમને કહ્યું કે તેઓ તેમના નવા ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ પર પ્રવાસ કરી રહ્યા છે જયારે તેમના OCI કાર્ડ પર જૂનો પાસપોર્ટ નંબર છે તેથી તેમને ફ્લાઇટમાં બેસવા દેવામાં નહિ આવે.
વધુમાં એરલાઈન સ્ટાફે તેમને આંતરિક મેમો બતાવ્યો હતો જે ૪થી ઓક્ટોબરે તમામ એરપોર્ટ ચેક-ઇન સ્ટાફને જારી કરવામાં આવ્યો હતો. મેમો મુજબ OCI કાર્ડ પર પાસપોર્ટનો નંબર મેચ થવો જોઈએ , ત્યારે જ પ્રવાસીને ભારત જતી ફ્લાઇટમાં બેસવા દેવામાં આવે.

પરંતુ એરપોર્ટ પર આ નવું પગલું શા માટે લેવાયું છે તેની ચોખવટ થઇ નથી. અન્ય લોકોએ પણ સમાન અનુભવની જાણ કરી છે, અને તેમને પણ આવો ઇમેઇલ બતાવવામાં આવે છે.
ઇમેઇલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “કેટલીક એરલાઇન્સ દ્વારા OCI કાર્ડ, જુના પાસપોર્ટ પર લીધો હોય અને પ્રવાસ નવા માન્ય પાસપોર્ટ પર કરી રહ્યા હોય તો તેમને ભારત જતી ફ્લાઇટમાં બેસવાનો ઇનકાર” એ વિઝા માર્ગદર્શિકામાં નિયત નિયમોની વિરુદ્ધ કાર્યવાહી છે.

ભારત સરકારની વેબસાઇટ મુજબ, 20 વર્ષથી ઓછી વયના બાળકોનો પાસપોર્ટ બદલાય ત્યારે દર વર્ષે OCIને રિન્યૂ કરવાની જરૂર હોય છે, અને 50 વર્ષના થયા પછી નવો પાસપોર્ટ OCI સાથે રજૂ કરી શકાય છે.
કેનબેરામાં ભારતીય હાઈ કમિશને સંબંધિત એરલાઇન્સ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે.
તેમ છતાં વિવિધ સ્રોતોમાંથી વિરોધાભાસી માહિતી આવી રહી છે જે પ્રવાસીઓની મુશ્કેલીઓ વધારી રહી છે.
ભારત સરકારની વેબસાઇટ સ્પષ્ટ રીતે જણાવે છે કે OCI રિન્યૂઅલ ફક્ત એકવાર જ જરૂરી છે, OCI ધારક 50 વર્ષનો થઈ જાય અને નવો પાસપોર્ટ મેળવે તે પછી. તો સામે સિંહ પરિવાર ને એરલાઇન્સ ચેક-ઇન અધિકારીએ જણાવ્યું હતું કે પાસપોર્ટ બદલાતાં દરેક વખતે નવું OCI લેવું જરૂર રહેશે. મેલબર્ન સ્થિત ભારતીય કોન્સ્યુલેટ દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝ દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે બંને સૂચનાઓ વિરોધાભાસી છે.

આ પ્રશ્ન ઉકેલાય ત્યાર સુધી ભારતીય કોન્સ્યુલ જનરલ શ્રી રાજ કુમારે OCI ધારકોને સલાહ આપી છે કે નવું OCI કાર્ડ આવતા ૩થી 4 અઠવાડિયા લાગે છે કારણકે તેને રિન્યૂઅલ માટે અમે ભારત મોકલી રહ્યા છીએ. તેથી જો તમારી મુસાફરીની તારીખ થોડા અઠવાડિયા દૂર હોય તો ૨૦ થી ૫૦ વર્ષની વચ્ચેના પ્રવાસીઓ તાત્કાલિક OCI રિન્યૂ કરાવી લો."
"પરંતુ જો તમે આગામી થોડા દિવસોમાં મુસાફરી કરી રહ્યા છો, તો eVisa માટે અરજી કરો - તે રીતે તમને ખાતરી થઇ જશે કે તમે યોજના મુજબ મુસાફરી કરી શકો છો."

