SBS-Essential Media દ્વારા કરવામાં આવેલા સર્વેના તારણ પ્રમાણે લગભગ 51 ટકા લોકોએ ઓસ્ટ્રેલિયામાં થતા ઇમિગ્રેશનને આવકાર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે માઇગ્રેશનના કારણે દેશમાં સકારાત્મક અસર જોવા મળી છે.
જોકે, બીજી તરફ 35 ટકા લોકોના માનવા પ્રમાણે, માઇગ્રેશનના કારણે દેશને નકારાત્મક અસરનો સામનો કરવો પડ્યો છે, 14 ટકા લોકો માઇગ્રેશન અંગેના પ્રશ્ન પર કોઇ તારણ આપી શક્યા નહોતા.

ઓસ્ટ્રેલિયામાં થઇ રહેલા માઇગ્રેશનને સકારાત્મક ગણાવી મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે તેનાથી દેશના અર્થતંત્રમાં વૃદ્ધિ થઇ છે જ્યારે માઇગ્રેશનને નકારાત્મક કહેનારા લોકોનો મત હતો કે માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયાની વસ્તી સાથે તાલમેલ બેસાડી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણીના પ્રચાર દરમિયાન ગંઠબંધને ઘણી વખતે સિડની તથા મેલ્બર્ન જેવા શહેરોમાં થઇ રહેલા વસ્તી વધારાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, તારણમાં જાણવા મળ્યા પ્રમાણે, માત્ર 13 ટકા લોકોએ જ વસ્તી વધારાને માઇગ્રેશનના વિરોધનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
24થી 29 એપ્રિલ 2019 દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં 1010 લોકોએ ભાગ લીધો હતો.

તાજેતરમાં જ સરકારે માઇગ્રેશનની વાર્ષિક સંખ્યા 190,000થી ઘટાડી 160,000 કરવાની જાહેરાત કરી હતી.
રવિવારે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં ગઠબંધન સરકાર રેફ્યુજી તરીકે દેશમાં આવતા લોકોની સંખ્યા ઘટાડીને 18,750 કરશે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, માઇગ્રન્ટ્સે દેશના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે. પરંતુ, હાલમાં ઓસ્ટ્રેલિયાના શહેરોમાં વસ્તી વધવાના કારણે ઘણી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. અને, અમે વધી રહેલી વસ્તીને કાબુમાં રાખવા માટે કાર્યરત છીએ.

મોરિસને શહેરોમાં વધતી ભીડને કાબુમાં રાખવા માટે વિવિધ માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે ફંડની પણ જાહેરાત કરી હતી.
બીજી તરફ, લેબર પાર્ટીએ 2025-26 સુધીમાં હ્યુમિનીટેરીયન વિસા (Humanitarian) ની વાર્ષિક સંખ્યા 18,750થી વધારીને 32,000 સુધી તથા 27,000 સરકાર દ્વારા સ્પોન્સર કરાતા વિસા, 5000 કમ્યુનિટી સ્પોન્સર વિસા અમલમાં લાવવાની જાહેરાત કરી છે.
સર્વેનું તારણ
ઓસ્ટ્રેલિયામાં થઇ રહેલા માઇગ્રેશનના કારણે દેશને સકારાત્મક - નકારાત્મક અસરો થઇ રહી છે?
સકારાત્મક - 51 ટકા
નકારાત્મક - 35 ટકા
અચોક્કસ - 14 ટકા

સર્વેનું તારણ ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશનના કારણે થતા લાભ
આર્થિક વૃદ્ધિ - 43 ટકા
બહુસાંસ્કૃતિ સમાજનો વિકાસ - 31 ટકા
વર્કફોર્સમાં તાલમેલ - 11 ટકા
વૈશ્વિક પ્રશ્નોનું નિરાકરણ - 9 ટકા
માઇગ્રેશનના કારણે દેશ પર થતી નકારાત્મક અસર
નવા માઇગ્રન્ટ્સની દેશના લોકો સાથે તાલમેલમાં નિષ્ફળતા - 37 ટકા
સામાન્ય ઓસ્ટ્રેલિયન માટે નોકરી શોધવી મુશ્કેલ - 22 ટકા
ઓસ્ટ્રેલિયામાં વિવિધ હુમલાનો ભય - 19 ટકા
વસ્તી વધારો - 13 ટકા
સુરક્ષાની ચિંતા - 8 ટકા

