વિશ્વની દરેક સંસ્કૃતિમાં વડીલોને માન- સન્માન આપવાનું મહત્વ છે પણ હકીકતમાં એમ બને છે ખરું? હિન્દૂ ધર્મમાં તો માં-બાપ અને વડીલોને પ્રભુ જેટલું જ અથવા તો એનાથી વધારે મહત્વ આપવામાં આવે છે. હકીકત એનાથી જુદી હોવાનું કડવું સત્ય હોવા તરફ નિર્દેશ કરે છે. આજે ૧૫મી જૂનને યુનો દ્વારા વર્લ્ડ અબ્યુઝ અવેરનેસ ડે તરીકે ઉજવીને આ મુદ્દા પ્રત્યે જાગૃકતા કેળવવા નક્કી કરાયું છે.
૧૯૭૫ની દીવાર ફિલ્મનો જાણીતો સંવાદ તો યાદ હશે જ. અમિતાભ બચ્ચન શશીકપૂર ને કહે છે કે મારી પાસે બાંગ્લા છે, ગાડી છે, બેંક બેલેન્સ છે તારી પાસે શું છે? તરત જ શશીકપૂર જવાબ આપે છે કે "મારી પાસે માં છે" અને તરત જ થિયેટરમાં તાળીઓ અને સીટીઓ વાગવા માંડે છે. શું આ પરિસ્થિતિ આજે પણ છે?
૨૦૧૫માં થયેલ એક સર્વે પ્રમાણે દર પાંચમાંથી એક વેસ્ટ ઓસ્ટ્રેલિયન કોઈ ને કોઈ પ્રકારના અપમાન અને નિંદાનો સામનો કરે છે. મોટાભાગે કુટુંબના સભ્યો દ્વારા જ વૃદ્ધોનું અપમાન- નિંદા -ઘરેલુ હિંસા કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
સરયુબેન ( નામ બદલ્યું છે) તેમના દીકરા ,પુત્રવધુ અને પૌત્રો સાથે રહે છે છતાંય એકલતા અનુભવે છે. નિસાસો નાખતા કહે છે,
"દેશમાં તેઓ રાણીની માફક રહેતા હતા અહીં તો નોકરડી બની ગઈ છું. મારે રસોઇ કરવાની, વોશિંગ મશીનમાં કપડાં ધોવાના પાછું છોકરાનું ધ્યાન રાખવાનું અને ક્યાંય જવાનું નહિ. જયારે સિનિયરની પ્રવૃત્તિ માં આવું કે તહેવારે મંદિર જઈએ તો ગમે."
આમ છતાં તેઓ પોતના સંતાનો વિષે કોઈ વાત-ફરિયાદ કરતા નથી.

નર્સ તરીકે કામ કરતા મંગલાબેન અને ડોક્ટર જૈનેષ ( નામ બદલ્યા છે) કહે છે તેઓએ ઘણા વૃદ્ધોના શરીર પર સોળ અને ઉઝરડા જોયા છે. આ અંગે તેઓને પૂછતાં સાચી વાત કહેવાને બદલે હું પડી ગયો હતો, રસોડામાં કામ કરતા મારો સાડલો ભરાતા પડી ગયી હતી એવા બહાના કાઢતા હોય છે. મંગલાબેન કહે છે,
"તેઓને જયારે હોસ્પિટલથી ઘેર જવાનું થાય ત્યારે ઉદાસ થતા હોય છે, હજુ મને મટયું નથી પેટમાં દુખે છે, દુખાવા ને લીધે આખી રાત ઊંઘ ના આવી એવા બહાના કાઢતા હોય છે."
કુટુંબના સભ્યો આવે ત્યારે આંખ મેળવ્યા વગર, ઉમળકા વગર વાત કરતા હોય છે. માત્ર પૌત્રો અને બા કે દાદા જ વાત કરતા જોવા મળે છે.
એઈજ કેરમાં અને નર્સ તરીકે કામ કરતી ભારતીય મૂળની અન્ય બે મહિલાઓએ પોતાનું નામ ન આપવાની વિનંતી કરી એમના અનુભવો જણાવ્યા છે. મોટા ભાગે ભાષા અને ટ્રાંસ્પોર્ટેશન આવા લોકોની મુખ્ય સમસ્યા છે. વળી જેઓની ઉપર વિશ્વાસ રાખ્યો હોય તેજ અણછતો વહેવાર કરતા હોવાથી ભારે માનસિક આઘાત લાગ્યો હોય છે.
વળી જાતે રહેવાનો ડર લાગે છે અને કુટુંબી અંગે ફરિયાદ કરતા શરમ આવતી હોય છે. તેઓની મુખ્ય સમસ્યા ખોરાક, કુટુંબના સભ્યો દ્વારા અણછાજતો વ્યવહાર ,પર્સનલ હાઇજીન હોય છે.

