મેલબર્નમાં બર્ક સ્ટ્રીટ પર થયેલા હુમલામાં એક વ્યક્તિએ તેની ગાડી પૂર ઝડપે ફૂટપાથ પર ચડાવી છ લોકોની હત્યા કરી હતી અને ૨૭ લોકોને ઘાયલ કર્યા હતા તે બનાવ પછી વિક્ટોરિયા પોલીસને આવા હુમલા રોકવા નવા અધિકાર આપવામાં આવ્યા છે.
આમ વાહનનો હથિયાર તરીકે ઉપયોગ થાય ત્યારે તેને રોકવા વાહન પર ઘાતક બળ વાપરવામાં આવશે.
મેલબર્નની બર્ક સ્ટ્રીટ પર ગયા વર્ષે નશાની હાલતમાં જેમ્સ ગાર્ગાસૌલાસે વાહનનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો ત્યાર બાદ વધુ એક એવોજ કિસ્સો નોંધાયો ડિસેમ્બર મહિનામાં, જયારે સઈદ નૂરીએ ફ્લીન્ડર્સ સ્ટ્રીટ પર ફરી એક વાર ક્રોસિંગ પર પગે ચાલતા લોકો પર ગાડી ચડાવી દીધી હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને સત્તર લોકોને ઈજા પહોચી હતી.
આ બંને બનાવના બે વર્ષ પછી વિક્ટોરિયા પોલીસે એક નવો નિર્દેશ જાહેર કર્યો છે, અધિકારીઓને કહ્યું કે તેઓ વાહન ચાલકને રોકવા ગોળી ચલાવી શકે છે.

ડેપ્યુટી કમિશનર શેન પેટને જણાવ્યું છે કે નવી નીતિ હાલના પોલીસ અધિકારોમાં ઉમેરો કરે છે.
વાહનને રોકવા તેને બીજા વાહન સાથે જાણી જોઈને ભટકાવી શકાશે, ચારે તરફથી ઘેરી લેવાશે અને રસ્તા પર અણીદાર વસ્તુઓ મૂકી ગાડીને રોકવાનો પ્રયત્ન થશે પણ જો આ બધું પુરતું ના હોય તો હવે વાહન ચાલકને ગોળી પણ મારી દેવામાં આવશે
નવી નીતિ પોલીસને આદેશ આપે છે કે લોકોના જીવ બચાવવા માટે જે વ્યૂહાત્મક પ્રતિસાદ આપવો પડે તે આપે.
ડેપ્યુટી કમિશનર પેટને વધુમાં કહ્યું છે કે નવી નીતિનો અમલ કરતા પહેલા પોલીસ અધિકારીઓને તાલીમ પૂરી પાડવામાં આવશે.
મેલબર્નમાં બે વર્ષમાં ત્રણ હુમલામાં કારનો ઉપયોગ હથિયાર તરીકે થયો છે.

નવેમ્બર ૨૦૧૮માં, હસન ખલીફ શાયર અલીએ ગાડીમાં ગેસની બોટલો ભરી તેને આગ લગાવી દીધી હતી અને મુસાફરો ઉપર છરી વડે હુમલો કર્યો હતો.
2015માં કારનો ઉપયોગ કરીને હુમલા કરવાની યોજના નિષ્ફળ બનાવવામાં આવી હતી - ટીનએજર સેવાદેત બેસિમે ૨૫ એપ્રિલે એક પોલીસ અધિકારીને ગાડી નીચે કચરી નાખવાની યોજના બનાવી હતી અને અધિકારીનું શિરચ્છેદ કરવાની યોજના પણ હતી.
પોલીસ એસોસિએશનના સેક્રેટરી વેન ગેટ કહે છે કે વૈશ્વિક સ્તરે વાહનનો હથિયાર તરીકે ઉપયોગ સામાન્ય બની રહ્યો છે.
વિક્ટોરિયાના પોલીસ પ્રધાન, લિસા નેવિલે કહે છે કે ઓસ્ટ્રેલિયમાં પ્રથમ વાર અમલમાં આવેલા નવા નિયમનો અર્થ છે વિકટ પરિસ્થિતિમાં પોલીસ પાસે હવે વધુ વિકલ્પ છે.
આવતા મહિને એક તપાસ સમિતિ એ જાણવાનો પ્રયત્ન કરશે કે શું બર્ક સ્ટ્રીટ હુમલા અગાઉ જેમ્સ ગાર્ગાસૌલાસને રોકી શકાયો હોત?
ગુનાહિત બનાવોનો વિશેષ અભ્યાસ કરનાર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે નવા અધિકારનો દુરુપયોગ ના થાય તેની વિશેષ કાળજી લેવી પડશે.
ઘાતક બળના ઉપયોગ તાત્કાલિક અમલમાં આવી ગયો છે.

