નાદારી નોંધાવવી અથવા તો લેણદાર કે જે તેના નાણા પરત ન મળવા બદલ કોઇ પણ વ્યક્તિને નાદાર જાહેર કરે તે ખૂબ જ ગંભીર બાબત છે અને કાયદાકીય રીતે તેની અસરો પણ થઇ શકે છે.
નાદારી શું છે તે જાણો
નાદારી નોંધાવવાની સમગ્ર પ્રક્રિયા એક નાના દેવા કે ઉછીના પૈસા લેવાથી થાય છે. ઉછીના નાણા સમયસર ન ચૂકવાતા અથવા તો ભૂલી જવાતા દેવામાં વધારો થતો જાય છે. મોડી ચૂકવણી બદલ કરવામાં આવતો દંડ, ઉંચા વ્યાજના દરના કારણે નાનું દેવું પણ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરે છે અને વ્યક્તિ પર નાણાંકિય ભીડ વધે છે.
આ ઉપરાંત બેકારી, સંબંધો તૂટવા, માંદગી જવા પરીબળોના કારણે પરિસ્થિતી વધુ વણસી શકે છે.

સરે હિલ્સ ફાઇનાન્સિયલ લીગલ સેન્ટરના સિનિયર સોલિસીટર માટા સોલોફોનીએ જણાવ્યું હતું કે તેઓ વર્તમાન સમયમાં નાદારી અંગેના ઘણા બનાવો જોઇ રહ્યા છે.
હાલમાં મોટાભાગના કિસ્સાઓમાં લોકો સ્વૈચ્છિક રીતે નાદાર થતા નથી. ઘણી વખત તેમને લેણદારોએ નાદાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાની તેની જાણકારી મળે છે. તેમ સોલોફોનીએ જણાવ્યું હતું.
નાદારી નોંધાવવાના પરિણામ
નાદારી જાહેર થયા બાદ ઘણ પ્રકારના પરિણામો ભોગવવા પડે છે.
જે લોકો નાદારી નોંધાવે છે તેમનું ઘર પણ ગુમાવી શકે છે. ઓસ્ટ્રેલિયામાં નાદારી ત્રણ વર્ષ અને એક દિવસ સુધી ચાલે છે. જ્યારે કોઇ પણ વ્યક્તિ નાદાર થાય છે ત્યારે તેઓ તેમની મિલકતો વેચવા કે જાળવી રાખવાનો હક ગુમાવે છે અને તેમની મિલકતો વેચીને દેવું ભરપાઇ કરી શકે તેવા એક વિશ્વાસુની નિમણૂક કરવી પડે છે, તેમ ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સિયલ સિક્યુરિટી ઓથોરિટીના માઇકલ પાર્કિન્સને જણાવ્યું હતું.
નાદાર લોકો સરળતાથી ક્યાંય જઇ શકતા નથી. જો તેમણે વિદેશ અથવા કોઇ અન્ય સ્થાનો પર મુસાફરી કરવી હોય તો તેમણે ટ્રસ્ટીની મંજૂરી લેવી પડે છે.

નાદાર વ્યક્તિનું નામ સાર્વજનિક પણ કરવામાં આવે છે. અને મકાનમાલિક, નોકરીદાતા, બેન્ક સહિતની કોઇ પણ વ્યક્તિ તેમનો ભૂતકાળ તપાસી શકે છે.
જે વ્યક્તિ નાદાર થાય તેનું નામ નેશનલ પર્સનલ ઇનસોલ્વન્સી ઇન્ડેક્સ (National Personal Insolvency Index) પર મૂકવામાં આવે છે અને તે વ્યક્તિગત રીતે દેવાદાર થયેલા લોકોની યાદીમાં કાયમી સ્થાન પામે છે.
આ યાદી ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સિયલ સીક્યોરિટી ઓથોરિટી દ્વારા જાળવવામાં આવે છે અને તેને કોઇ પણ વ્યક્તિ મફતમાં જોઇ શકે છે. તેમ પાર્કિન્સને જણાવ્યું હતું.
ક્રેડીક આપતી એજન્સીઓ નાદાર થતા હોય તેવા વ્યક્તિઓ વિશેની યાદી પાંચ વર્ષ સુધી જાળવી રાખતા હોય છે. અને ભવિષ્યમાં પણ તેઓને લોન મેળવવામાં તકલીફ પડે છે.
વિવિધ પ્રકારની પેમેન્ટ સ્કીમથી ચેતવું
ઓસ્ટ્રેલિયન રીઝર્વ બેન્કના જણાવ્યા પ્રમાણે, દેશના લોકો પર ક્રેડીટ કાર્ડનું 50 બિલિયન ડોલર્સનું દેવું છે. તેથી જ ખરીદદારોએ “અત્યારે ખરીદો, બાદમાં ચૂકવણી કરો” જેવી સ્કીમથી બચવું જોઇએ.
આ ઉપરાંત, કેટલાક યુવાનોને દેવા સાથે જોડાયેલી પરિસ્થિતીની ખબર હોતી નથી.
23 વર્ષીય સોફિજા પેટ્રોવિકે જણાવ્યું હતું કે દેવાની વ્યાખ્યાને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે જાણે કે તેની કોઇ ખરાબ અસર થઇ શકે નહીં. કેટલીક વખત લોકોને વિવિધ સ્કીમ્સની મદદથી હપ્તા દ્વારા ચૂકવણીની સુવિધા પણ આપવામાં આવે છે. જે ખરેખર તેમની વસ્તુની કિંમત કરતાં ઘણી વધારે કિંમત ચૂકવવા પર મજબૂર કરે છે.
Image
સામાજિક કલંક
વિવિધ સમાજમાં નાદારી નોંધાવવાને જીવનનો એક ભાગ ગણાય છે પરંતુ, તેનું સામાજિક કલંક ઘણું મજબૂત છે,.
માટા સોલોફોનીએ જણાવ્યું હતું કે કેટલીક વખત લોકો દેવાને પોતાની વ્યક્તિગત મુશ્કેલી માને છે અને કોઇને પોતાની ચિંતા જણાવતા નથી. દેવાની શરૂઆતમાં જ જો તેઓ પોતાની મુશ્કેલી અન્ય લોકોને વહેંચે તો નાદારી જેવી પરિસ્થિતીથી બચી શકાય છે.
કેટલાક લોકો એટલા હતાશ થઇ જાય છે કે તેઓ આત્મહત્યા જેવા પગલાં ભરવાનું પણ વિચારે છે.
મેં એવા પણ કેટલાક લોકો જોયા છે જેમણે કહ્યું હતું કે તેઓ દેવાની રકમ ભરપાઇ કરી શકે તેવી પરિસ્થિતીમાં ન હોવાના કારણે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે, તેમ સોલોફોનીએ જણાવ્યું હતું.
નાણાકિય મુશ્કેલી અંગેની ગોપનીય સલાહ નેશનલ ડેબ્ટ હેલ્પલાઇન પર મફતમાં ઉપલબ્ધ છે. જેમાં સમગ્ર ઓસ્ટ્રેલિયામાં વિવિધ કમ્યુનિટી સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યવસાયિકો આ પરિસ્થિતી વિશે સલાહ આપે છે. તેમનો 1800 007 007 પર સોમવારથી શુક્રવાર સવારે 9.30થી 4.30 સુધીમાં કરી શકાય છે.

