ભારતીય મૂળના લગભગ 17 મિલિયન લોકો 2017માં વિદેશમાં વસવાટ કરી રહ્યા હતા. જે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારા દેશોની યાદીમાં વિશ્વમાં સૌ પ્રથમ ક્રમ ધરાવે છે.
ઇન્ડિયાસ્પેન્ડ દ્વારા યુનાઇટેડ નેશન્સ ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમીક એફેર્સના આંકડાના એનાલિસીસમાં જણાવવામાં આવ્યું છે કે 1990માં ભારતીય મૂળના લગભગ 7 મિલિયન લોકો વિદેશમાં સ્થાયી થયા હતા. જે આંકડો 2017માં 17 મિલિયન સુધી પહોંચી ગયો હતો. 27 વર્ષમાં વિદેશમાં સ્થાયી થનારા ભારતીય મૂળના લોકોની સંખ્યા 143 ટકા જેટલી વધી ગઇ હતી.

27 વર્ષના ગાળામાં ભારતની માથાદીઠ આવકમાં 522 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે 1,134 અમેરિકન ડોલરથી 7,055 અમેરિકન ડોલર સુધી પહોંચી ગઇ છે. જેના કારણે ભારતીય લોકોમાં નોકરી અથવા અભ્યાસ માટે વિદેશ જવાનું ચલણ વધ્યું છે.
એશિયન ડેવલોપમેન્ટ બેન્કના રીપોર્ટ પ્રમાણે, છેલ્લા કેટલાક સમયમાં બિન-કુશળ કારીગરોમાં વિદેશ જવાના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. 2011માં 637,000 કારીગરો વિદેશ સ્થાયી થયા હતા. જે આંકડો 2017માં, 391,000 સુધી જ પહોંચ્યો હતો.
સામાન્ય રીતે, આર્થિક વિકાસ થતા જ નાગરિકો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થાય છે.

સ્થાનિક રોજગાર બજારમાં શ્રમની ઓછી માંગ હોવાના કારણે નોકરી મેળવવા માટે લોકો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરે છે. 1990થી 2017 સુધીમાં, ભારતમાંથી કુશળ અને બિન-કુશળ કામદારોએ સૌથી વધુ સ્થળાંતર કર્યું હતું.
ઇકોનોમીક ટાઇમ્સમાં જણાવ્યા પ્રમાણે, કતારમાં રહેતા ભારતીય મૂળના લોકોની સંખ્યામાં 82,669 ટકાનો વધારો જોવા મળ્યો છે. અગાઉ 2,738 લોકો કતારમાં સ્થાયી થયા હતા 2017માં તે આંકડો 2.2 મિલિયન સુધી પહોંચ્યો છે.
1990થી 2017 સુધીમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા ઓમાન (688 ટકા) અને યુનાઇટેડ આરબ અમીરાત (622 ટકા) જેટલી વધી છે.
ગલ્ફ દેશો વિકાસ કરી રહ્યા હોવાથી, નોકરી માટે સાઉથ એશિયન લોકો ત્યાં સ્થળાંતર કરે છે. જોકે, ક્રૂડની ઘટતી કિંમતો તથા અન્ય પ્રોજેક્ટ્સમાં ઘટાડો થતાં ભારતમાંથી ગલ્ફ જવાનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું છે.

બીજી તરફ, 2010થી 2017 સુધીમાં સ્વીડન, નેધરલેન્ડ્સ તથા નોર્વેમાં ભારતીયોની સંખ્યામાં અનુક્રમે 42,66 અને 56 ટકા જેટલો વધારો થયો છે. સસ્તું શિક્ષણ તથા નોકરીની વધુ તકોના કારણે વિદ્યાર્થીઓ તથા નોકરી ઇચ્છુક લોકો ત્યાં સ્થાયી થવા લાગ્યા છે.
યુરોપીયન યુનિયન - ઇન્ડિયા કોર્પોરેશન એન્ડ ડાઇલોગ ઓન માઇગ્રેશન એન્ડ મોબીલીટીના ટેક્નિકલ ઓફિસર, સીતા શર્માએ ઇન્ડિયાસ્પેન્ડને જણાવ્યું હતું કે, "જર્મનીમાં શિક્ષણ મફતમાં મળે છે અને ત્યાં નોકરીની તકો પણ ઘણી છે. તેથી લોકો ત્યાં જવા લાગ્યા છે."
લગભગ 17 મિલિયન ભારતીય મૂળના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. તેથી વિદેશથી ભારતમાં નાણાં મોકલવાના પ્રમાણમાં પણ વધારો થયો છે. 2017માં ભારતીય બેન્કોમાં લગભગ 70 બિલિયન અમેરિકન ડોલર જમા થયા હતા. જે વિશ્વના કોઇ દેશમાં વિદેશથી જમા થયેલા નાણામાં સૌથી વધુ હતા.

