વિક્ટોરિયન કોરોનરના એક સંશોધન પ્રમાણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં આત્મહત્યા કરવાનું વધુ જોખમ રહેલું છે. સંશોધન બાદ કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયા માનસિક તણાવનો અનુભવ કરી રહેલા વિદ્યાર્થીઓને પરિસ્થિતિ અંગે ખુલ્લા મનથી વાત કરવા માટે વિનંતી કરી રહ્યું છે.
કોરોનર ઓડ્રી જેમીસને 2015 સુધીના અંતિમ છ વર્ષમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત કુલ 27 આત્મહત્યાની ઘટનાઓમાં વિક્ટોરિયન કોરોનર પ્રિવેન્શન યુનિટ (CPU) સાથે કામ કર્યું હતું.
ફક્ત 22 ટકા આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તથા ઓસ્ટ્રેલિયામાં જન્મેલા 57 ટકા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરતા પહેલા માનસિક સ્વાસ્થ્ય અંગેની સેવાઓ લીધી હોવાનું જણાય છે.

આર્થિક સંકડામણ અને અભ્યાસનો બોજ તણાવ ઉત્પન્ન થવાના કારણો
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં તણાવ ઉત્પન્ન થવાના મુખ્ય કારણો આર્થિક સંકડામણ તથા અભ્યાસનો બોજ છે. પોતાના રીપોર્ટમાં જેમીસને ચીનના એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ઝીકાઇ લીયુની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે.
મેલ્બોર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝીકાઇનું મૃત્યું 2016માં થયું હતું. તેના મૃત્યુનું કારણ આત્મહત્યા હતી.
જેમીસને જણાવ્યું હતું કે, આત્મહત્યા કરી તે સમયે તેની પાસેથી કોઇ ચિઠ્ઠી મળી નહોતી પરંતુ ઝીકાઇ નવેમ્બર 2015માં ઓસ્ટ્રેલિયા આવ્યો ત્યારથી જ તે માનસિક તણાવનો અનુભવ કરી રહ્યો હતો.
રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ઝીકાઇને નવા વાતાવરણમાં, ભાષા બોલવામાં તથા અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે તેને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા.

સંશોધનમાં 27 જેટલા આત્મહત્યાના બનાવોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 90 ટકા જેટલા વિદ્યાર્થીઓ ભારત, ચીન, ઇન્ડોનેશિયા, કોરિયા અને મલેશિયાના હતા. આ વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં જન્મેલા તેમના સહ-વિદ્યાર્થીઓની સરખામણીમાં આર્થિક સંકડામણ તથા અભ્યાસના બોજનો વધુ સામનો કરવો પડી રહ્યો હતો.
આ ઉપરાંત, જુગારમાં નાણાં ગુમાવ્યા બાદ શૈક્ષણિક ફી ન ભરી શકવાના કારણે આત્મહત્યા કરવાના બનાવો પણ નોંધાયા છે.
કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તા મનફ્રેડ મ્લેટસિને જણાવ્યું હતું કે, "પરીક્ષાના સમયે તેમણે માનસિક તણાવનો અનુભવ કર્યો છે."
પોતાના વ્યક્તિગત અનુભવ અંગે વાત કરતા મ્લેટસિને જણાવ્યું હતું કે, "તેઓ ઇસ્ટોનિયાથી પાંચ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા આવ્યા હતા પરંતુ અહીં કોઇને જાણતા ન હોવાના કારણે કેટલીક વખત મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો."

"આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ખબર હોતી નથી કે માનસિક તણાવની પરિસ્થિતિમાં કોની મદદ લેવી. મદદ લઇ શકાય કે નહીં. કારણ કે કેટલાક દેશોમાં જો તમે કોઇને માનસિક સ્વાસ્થ્ય અંગે વાત કરો તો તેઓ તમારી સામે આશ્ચર્યભરી નજરે જુએ છે," તેમ મ્લેટસિને ઉમેર્યું હતું.
સપોર્ટ ગ્રૂપ્સની રચના
હાલમાં મ્લેટસિને નોધર્ન ટેરીટરીમાં મેન્ટલ સપોર્ટ ગ્રૂપ શરૂ કર્યું છે.
મેન્ટલ સપોર્ટ ગ્રૂપમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી રાખવું તે અંગે સલાહ આપવામાં આવે છે.
"જ્યારે પણ વિદ્યાર્થીઓ અમારા વર્કશોપમાં ભાગ લેવા આવે છે અમે તેમને માનસિક તણાવની પરિસ્થિતિમાં શું કરવું, ક્યાં જવું અને કોની મદદ લેવા જેવી બાબતોની સલાહ આપીએ છીએ."
શૈક્ષણિક સંસ્થાઓએ પગલા લેવા જરૂરી
કોરોનર ઓડ્રી જેમીસને શૈક્ષણિક સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે લગતી બાબતો માટે વિવિધ વ્યૂહરચના ઘડવા અંગે સલાહ આપી છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મૃત્યું અંગે પણ કોરોનરને વિગતો આપવાનો નિયમ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અભ્યાસની સાથે સ્વાસ્થ્યની કાળજી પણ જરૂરી
બિયોન્ડ બ્લ્યૂમાં ક્લિનીકલ એડવાઇસર તરીકે કાર્ય કરતા ડો ગ્રાન્ડ બ્લેશેકીએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે તેમણે અભ્યાસની સાથે પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જરૂરી છે.
"નવા દેશ, નવી ભાષા તથા નવી સંસ્કૃતિ સાથે તાલમેલ જાળવવો કેટલીક વખત અઘરો બની જાય છે તેથી વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે શારીરિક વ્યાયામ કરવા ઉપરાંત, સામાજિક ગ્રૂપ્સ તથા સ્વયંસેવકોને લગતી પ્રવૃત્તિમાં જોડાવું જોઇએ. જેથી તેઓ પોતાની જાતને એકલા ન અનુભવે."
આ પ્રકારના ફેરફારથી જ યુવાનોમાં વધી રહેલો માનસિક તણાવ ઘટાડી શકાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
જો તમારે માનસિક તણાવને લગતી કોઇ પણ પ્રકારની મદદની જરૂર હોય તો Lifeline 13 11 14, Beyond Blue 1300 224 636 Headspace centre નો સંપર્ક કરી શકો છો.

