રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ ૯૯ ટકા થી પણ વધુ મતદાન થયું હતું, જેમાં વિરોધ પક્ષના કેટલાક અગ્રણી નેતાઓએ પણ શ્રી રામ નાથ કોવિંદની તરફેણ માં મત આપ્યા હોવાનું જાહેર કર્યું છે.
આસામ, બિહાર, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, ઉત્તરાખંડ અને પોન્ડિચેરીમાં ૧૦૦% મતદાન થયું હતું.
લોકસભા, રાજ્યસભા તથા દેશના ત્રીસ રાજ્યોના વિધાનસભ્યો મળીને રાષ્ટ્રપતિ ચૂંટે છે. મતલબ કે કેટલાક દેશોની જેમ ભારતમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય નાગરિકો મતદાન કરતા નથી , પણ એમણે ચૂંટેલા જનપ્રતિનિધિઓ નવા રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડન્ટને ચૂંટે છે.
અત્યારે લોકસભામાં ભાજપની બહુમતી છે અને દેશના અડધા ઉપરાંતના રાજ્યોમાં ભાજપ સત્તા પર છે અથવા તો અન્ય પક્ષો સાથે એની સત્તામાં ભાગીદારી છે. બાકી હોય એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર વિરોધી રહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહીત કેટલાક પ્રાદેશિક નેતાઓએ કોવિંદની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. એ કારણે ભાજપના ઉમેદવારની જીત અગાઉ થી જ પાક્કી થઇ ગઈ હતી.
સોમવારે મતદાન પછી સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ અને તેમના સાંસદ ભાઈ શિવપાલ યાદવે વિપક્ષી ઉમદેવાર મીરાં કુમારને બદલે કોવિંદને મત આપ્યા હોવનું ખુલ્લે આમ જાહેર કાર્ય હતું. એવીજ રીતે, ઈશાનના રાજ્ય ત્રિપુરામાં કોંગ્રેસ અને મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના કુલ સાત વિધાનસભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપ્યા છે.
શિવપાલ યાદવે તો મતદાન પછી પક્ષના કેટલાક વિધાનસભ્યોએ સુદ્ધા કોવિંદ ને મત આપ્યા હોવાનું ઘોષિત કરી એમ પણ કહ્યું કે જેમનો પરાજય નક્કી છે એમના માટે મત બગાડવાનું નિરર્થક છે.
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના પંજાબમાંથી ચૂંટાયેલા એક ધારાસભ્યએ પણ વિપક્ષી ઉમેદવાર મીરા કુમારને બદલે રામનાથ કોવિંદની તરફેણ માં મતદાન કર્યું હોવાનું કહ્યું છે.
ગુજરાતના કેટલાક કોંગ્રેસી વિધાનસભ્યોએ પણ ક્રોસ-વોટિંગ કર્યાનું એટલે કે પક્ષના સત્તાવાર ઉમેદવારને બદલે હરીફ ઉમેદવારને મત આપ્યાનું બહાર આવ્યું છે. જો કે એમની સંખ્યા જાણી શકાઈ નથી તો બીજી બાજુ ભાજપના પાટીદાર ધારાસભ્ય નલિન કોટડીયાએ પોતે પક્ષના સત્તાવાર ઉમદેવાર ને મત ન આપ્યાનું જણાવ્યું હતું. પટેલ આંદોલન ઉકેલવામાં ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફ્ળ નીવડી હોવાનું જાહેર કરી કોટડીયાએ કહ્યું હતું કે આ નિષ્ફળતા સામે વિરોધ દર્શાવવા મેં પક્ષના ઉમદેવારની વિરુદ્ધ મતદાન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદભવન સૌથી પહેલા પહોંચી મતદાન કર્યું હતું અને પરિણામ નિશ્ચિત જણાતા દિલ્હીના રાઈસિના હિલ્સ સ્થિત રાષ્ટ્રપતિ ભવનના નવા નિવાસી બનવા જઈ રહેલ રામનાથ કોવિંદને આગોતરા અભિનંદન પણ આપ્યા હતા.

