Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓછા જાણીતા નેતાઓ

57માં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આજે જરા યાદ કરીએ શ્રમજીવી વર્ગના એ લોકનેતાઓને જેઓએ પાયાના પથ્થરની ભૂમિકા ભજવી પણ, મહાગુજરાતની ચળવળમાં તેઓનું યોગદાન ખુબ ઓછું જાણીતું છે.

MahaGujarat Moment
Source: Public Domain

SBS ગુજરાતી પર મહાગુજરાત ચળવળ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે 1લી મે ની પસંદગી અંગેની વિગતો આપે જાણી જ હશે.

મહાગુજરાતની ચળવળએ શ્રમજીવી વર્ગના નેતૃત્વમાં લડવામાં આવી હતી. ગુજરાતના મીલ મજૂરોએ પગાર વધારાની માંગ સાથે શરુ કરેલ આ લડતને સમાજના અન્ય  વર્ગોનો સાથ મળ્યો.

ગુજરાતના લોકોમાં ગુજરાતી બોલનાર લોકોનું અલગ રાજ્ય બને તેવી લાગણીએ પણ જોર પકડ્યો હતો. આ બન્ને કારણો એકબીજા સાથે જોડાતા સંગ્રામ સમિતિના નેતૃત્વમાં મહાગુજરાત ચળવળ શરુ થઇ.

MahaGujarat Moment
Source: Public Domain

'મહાગુજરાત' આ શબ્દ કે ટર્મિનોલોજીનો ઉપયોગ પ્રથમ વખત જાણીતા લેખક અને નેતા શ્રી કનૈયાલાલ મુનશીએ વર્ષ 1937માં કરાંચી ખાતે ભરાયેલ ગુજરાત સાહિત્ય પરિષદની સભામાં કરેલ. અલગ ગુજરાત રાજ્યની સ્થાપના માટે આ શબ્દે લોકલાગણીઓને ઝીલી અને આ શબ્દને ચળવળ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો.

આ ચળવળમાં ઇન્દુલાલ યાજ્ઞિક, સનત મહેતા, દિનકર મહેતા, સત્યમ પટેલ, વિદ્યાબેન નીલકંઠ, શારદા મહેતા, બુધ્ધિબેન ધ્રુવ, રવિશંકર રાવળ, બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા, દિનકર અમીન જેવા નેતાઓના યોગદાનથી  આપણામાંના મોટાભાગના લોકો વાકેફ હશે.

Induchaha and Ravishankar maharaj
Source: Public Domain

પણ આજે મારે વાત કરવી છે પાયાના પથ્થર સમાન ખુબ ઓછા જાણીતા નેતાઓની

જયંતિ દલાલ :

જયંતિ દલાલ મૂળ અમદાવાદના વતની. જે તે સમયે તેમના લેખો લોક જાગૃતિ માટે ખુબ જ અસરકારક હતા. સ્વભાવે સમાજવાદી વિચારધારા ધરાવતા જયંતિ દલાલના લખાણો લોકોને વિચારવા પ્રોત્સાહિત કરતા અને સરકાર દ્વારા લેવાતા પગલાંનું તટસ્થ વિશ્લેષણ પણ આપતા. લોક જુવાળ ઉભો કરવામાં તેમાં લેખોનો મહત્વનો ફાળો રહ્યો છે.

હનુમંતસિંહ ઠાકુર:

હનુમંતસિંહ ઠાકુરને આ ચળવના પ્રણેતા કહી શકાય. તેઓ મીલ કામદારોના આગેવાન હતા. તેમના એક અવાજે પાંચ - છ હજાર કામદારો મહાગુજરાત આંદોલનમાં હાજર થઇ જતા. તેઓ ભારતીય સામ્યવાદી પક્ષના હોલ ટાઈમ વર્કર હતા.  સ્પષ્ટ વક્તા અને જમીની હકીકતથી વાકેફ કાબેલ નેતા. તેઓ હંમેશા નબળા વર્ગના હક્કો અને અધિકારો માટે લડતા રહ્યા.

અબ્દુલ કરીમ:

મહાગુજરાતનું આંદોલન શ્રમજીવી વર્ગના નેતૃત્વમાં થયું અને આ આંદોલનમાં શ્રમજીવી વર્ગ અંતસુધી રહ્યો અને સક્રિય રહ્યો તેનું શ્રેય અબ્દુલ કરીમને જાય છે. તેઓ મીલ કામદારોના અતિલોકપ્રિય નેતા, તેમની સભાઓમાં ખુબ મોટી સંખ્યામાં કામદાર વર્ગના લોકો જોડાતા, તેમની પાસે વિષયવસ્તુ સમજતા અને માર્ગદર્શન લેતા.

સુબોધ મહેતા :

'શોષિતોના મશાલચી' તરીકે જાણીતા સુબોધ મહેતા, આ આંદોલન સમયને યાદ કરતા કહે છે કે તેઓ તેજાબી ભાષણ કરતા. અમદાવાદની વિવિધ પોળથી લોકો ખાસ તેમની સભામાં આવતા અને સંગ્રામ સમિતિ તેમને જાહેરસભા સુધી પહોંચવા માટે રીક્ષા આપતી, માર્ગમાં તેઓ દેશભક્તિના ઝવેરચંદ મેઘાણીના ગીતો ગાતા ગાતા જતા. જનતા કર્ફ્યુ, જાહેરસભાઓ, જેલભરો, કામદાર વર્ગ સાથે ધારણા જેવા ઘણા દેખાવોમાં સુબોધ મહેતાએ આગેવાની લીધી હતી.

Subodh Mehta
Source: Harita Mehta

નીરુબેન પટેલ :

'સૌરાષ્ટ્રની સિંહણ' તરીકે ઓળખાતા નીરુબેન પટેલ ખુબ શ્રીમંત પરિવારથી આવતા હતા, પણ સમાજસેવા અને નબળાવર્ગની સેવા કાજે તેઓએ સુખ સાહિબી છોડી. આ ચળવળમાં મહિલાઓની પણ ભાગીદારી રહે માટે તેઓએ સૌરાષ્ટ્ર અને અમદાવાદની આસપાસના વિસ્તારની એક હજારથી વધુ બહેનો સાથે અમદાવાદ ખાતે સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી હતી. પોલીસદળે  આ બહેનો અમદાવાદ સુધી ન પહોંચી શકે માટે તમામ પ્રયત્નો કર્યા પણ આ બહેનોએ જુદી જુદી તરકીબ અપનાવી અમદાવાદ ખાતે સત્યાગ્રહમાં જોડાઈ અને ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. નીરુબેનની સભામાં ઝવેરચંદ મેઘાણી લિખિત 'રક્ત ટપકતી સો સો જોડી' અને 'મોર બની થનગાટ કરે ' સમૂહમાં ગાવામાં આવતા અને લોકોમાં એક નવો ઉત્સાહ આવતો.

NP
Source: Arun Mehta

આ ઉપરાંત વજુભાઇ શુક્લ, પી.ડી. ગાંધી, બટુક વોરા, પ્રેમતાર્થ સહિતની બહુ મોટી હરોળ મહાગુજરાત આંદોલનમાં નેતૃત્વકારની ભૂમિકામાં રહી હતી.


3 min read

Published

Updated

By Harita Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now