Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ગુજરાત ડાયરી

ચૂંટણી પ્રચારની ગાજ-વીજ વચ્ચે ખેલાઈ રહ્યા છે મોટા દાવપેચ.

Supporters of BJP at Bhaat village near Ahmedabad
Indian supporters of the Bhartiya Janta Party (BJP) at Bhaat village on the outskirts of Ahmedabad on October 16, 2017. Source: Sam Panthaky/Getty images/AFP

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારીપત્ર ભરવાની તારીખ વચ્ચે ખાસ્સો લાંબો ગાળો હોવાથી અત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષો પોતપોતાની  સોગઠી ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.

ઉમેદવારો જાહેર થાય અને એને પગલે પક્ષમાં બળવાખોરી થાય એ પહેલાં શક્ય એટલી તડજોડ ચાલી રહી છે, બગાવત કરી શકે એવા કાર્યકરોને અત્યારથી "સમજાવી" લેવાનું કામ પૂરજોશમાં શરૂ છે તો ભાજપ તથા કોંગ્રેસ નવા સમીકરણ માટે પણ તૈયારી કરી રહ્યા છે.

અનુસૂચિત જાતિ-જનજાતિ તથા પછાત વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ કરનારા અલ્પેશ ઠાકોરને પોતાની સાથે લીધા બાદ પાટીદાર અનામત માટે આંદોલન ચલાવનારા યુવા નેતા હાર્દિક પટેલને પોતાની તરફેણમાં લેવાનું હજી કોંગ્રેસ માટે શક્ય બન્યું નથી.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક આગેવાનો અને કોંગ્રેસની નેતાગીરી વચ્ચે હમણાં ઔપચારિક સ્તરે બેઠક યોજાઈ હતી. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવે તો હાર્દિક સહિત પાંચ પટેલ આગેવાનો સામેના દેશદ્રોહના કેસ પડતા મૂકવા ઉપરાંતની પાટીદારોની ચાર માંગણી કોંગ્રેસે સ્વીકારી છે. જો કે પાટીદારોની મુખ્ય એવી શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતની માંગણી વિશે કોંગ્રેસ કાનૂન નિષ્ણાતોનો અભિપ્રાય મેળવશે.

કોંગ્રસના ઉપ-પ્રમુખ રાહુલ ગાંધી આમ પણ આ સપ્તાહે ફરી ગુજરાત આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પછી હવે એ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રચારસભા સંબોધવાના છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગાંધીનગર સ્થિત અક્ષરધામના રજત જયંતિ કાર્યક્રમ નિમિત્તે ગુજરાત આવવાના છે.

દરમિયાન, ગુજરાતના ચૂંટણી પ્રચારમાં ગરમી વધવા માંડી છે. થોડા દિવસ પહેલાં ગુજરાતમાંથી આતંકી સંગઠન "ઇસ્લામિક સ્ટેટ" સાથે સંકળાયેલા હોવાનું મનાતા બે શખ્સની ધરપકડ થઇ હતી. એમાંથી એક દક્ષિણ ગુજરાતની હોસ્પિટલમાં ટેક્નિશિયન હતો. આ હોસ્પિટલ કોંગ્રેસ નેતા એહમદ પટેલના સંબંધીની છે એટલે આ મુદ્દો આગળ ધરી ભાજપે એહમદ પટેલના રાજ્યસભામાંથી રાજીનામાની માંગણી કરી છે.

અને હોસ્પિટલની જ વાત નીકળી છે તો એ પણ ઉમેરવું જોઈએ કે ઉત્તર પ્રદેશની ગોરખપુર સરકારી હોસ્પિટલની જેમ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ હમણાં ગણતરીના દિવસોમાં વીસથી વધુ બાળકો મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવ્યું છે.

પહેલાં આવું કંઈ બન્યું હોવાનો ઇન્કાર કર્યા બાદ છેવટે સરકારે બાળકોના અપમૃત્યુ વિશે તપાસનો આદેશ આપ્યો છે.


2 min read

Published

By Hiren Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now