Whatsappનું ભારતમાં ખૂબ જ મોટું માર્કેટ છે અને દેશમાં તેના 200 મિલિયનથી પણ વધારે યુઝર્સ છે. ભારતમાં મોટાભાગે મેસેજીસ મોકલવા માટે વોટ્સએપનો જ ઉપયોગ થવા લાગ્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તેમાં ખોટા અથવા બિનપાયદાર મેસેજીક કે સમાચાર ફેલાવાનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં વધ્યું છે અને જેના કારણે આસામ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં નિર્દોષ લોકોના મૃત્યું પણ થયા છે.
ત્યાર બાદ ભારતીય સરકારે Whatsappને હાલમાં જ કડક ચેતવણી આપીને તેના માધ્યમનો દુરપયોગ થતો અટકાવવા જણાવ્યું હતું. જેથી વોટ્સએપે ફોરવર્ડ થતાં મેસેજીસની સંખ્યા નિયંત્રણમાં લાવવા નક્કી કર્યું છે.
Whtsapp હવે એક સમયે માત્ર પાંચ વ્યક્તિને જ message forwards થઇ શકે અને મેસેજની બાજુમાં આવતું "Quick Forward" બટન દુર થાય તેવા સુધારા કરે તેમ છે.
ભારતીય અખબારોમાં ફૂલ પેજની જાહેરાત
વોટ્સએપે તાજેતરમાં જ સમગ્ર દેશના હિન્દી તથા ઇંગ્લિશ ન્યૂઝપેપર્સમાં એક ફૂલ પેજની જાહેરાત આપી હતી અને તેમાં જણાવ્યું હતું કે એક યુઝર કેવી રીતે સાચા અને ખોટા મેસેજ કે ન્યૂઝને ઓળખી શકે.
કુલ દસ પોઇન્ટ્સને સમાવનારી આ જાહેરાતમાં Whatsappએ usersને forward થઇ રહેલા message વિશે, છેડછાડ કરાયેલા ફોટો, વિડીયો વિશે, ન્યૂઝના વિશ્વાસપાત્ર સૂત્ર અંગે, ગ્રૂપ્સમાં પ્રવેશ કે નીકળી જવાની પદ્ધતિ અંગે, વિચલિત કે લાગણી દુભાય તેવા મેસેજથી બચવા, ખોટા મેસેજને પકડવાની રીત, ખોટી વેબસાઇટ્સની લીન્ક અને જ્યાં સુધી ન્યૂઝ કે મેસેજ સાચો છે તેની ચોક્કસાઇ ન થાય ત્યાં સુધી તેને ફોરવર્ડ નહીં કરવા સુધીની માહિતી આપી હતી.
વોટ્સએપ આગામી દિવસોમાં દેશની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ આ જાહેરાત આપીને યુઝર્સને જાગૃત કરે તેવી શક્યતા છે.

ફોરવર્ડ થતા મેસેજ માટે હવે નવું ફિચર
વોટ્સએપે મેસેજીંગ એપ્લિકેશનના થઇ રહેલા દુરપયોગથી બચવા માટે એક નવા ફિચરને ઉપયોગમાં મૂકવાની જાહેરાત કરી છે. નવા ફિચર પ્રમાણે યુઝરને હવે તે મેસેજ ક્યાંથી આવ્યો છે તેની જાણ થશે. વોટ્સએપના ઇતિહાસમાં એવું પ્રથમવાર બનશે કે યુઝરને ખબર પડશે કે આ મેસેજ ફોરવર્ડેડ છે.
યુઝરને જ્યારે કોઇ મેસેજ મળશે અને જો તે ફોરવર્ડ થયેલો હશે તો તે મેસેજની ઉપર "Forwarded" એમ લખેલું આવશે. જેથી યુઝર જાણી શકે છે કે આ મેસેજ કદાચ ખોટો પણ હોઇ શકે છે.
દેશમાં ખોટા કે અફવા ફેલાવતા મેસેજીસના વધતા પ્રમાણ બાદ વોટ્સએપના નવા ફિચર અંગે વાત કરતાં સાઇબર એક્સપર્ટ હિમાશું કિકાણીએ SBS Gujarati ને જણાવ્યું હતું કે, "યુઝર્સ પોતાને જે મેસેજ મળે છે તે સાચો છે કે ખોટો તેની ચકાસણી કર્યા વિના જ તે મેસેજ આગળ મોકલી દે છે જેના કારણે ખોટા અને અફવા ફેલાવતા મેસેજીસ પણ ફેલાતા જાય છે પરંતુ હવે વોટ્સએપના નવા ફિચરમાં યુઝરને ખબર પડશે કે તેને જે મેસેજ મળ્યો છે તે ફોરવર્ડેડ છે અને તે સાચો જ હોય તે જરૂરી નથી."
ગ્રૂપ એડમિન્સે પણ જે-તે ગ્રૂપમાં ખોટા મેસેજીસ કે કોઇને ઉશ્કેરણીજનક મેસેજીસ ન મુકાય તેનું ધ્યાન રાખવું જોઇએ અને તેમ કરતાં સભ્યને ગ્રૂપમાંથી બ્લોક કે બહાર કરવાની જવાબદારી પણ એડમિનની પોતાની હોવાની હિમાશું કિકાણીએ જણાવ્યું હતું.

પોલીસ કે સુરક્ષા એજન્સી મેસેજીસ વાંચતી નથી
ભારતમાં તાજેતરમાં જ એક અફવા ફેલાઇ હતી કે પોલીસ અને સુરક્ષા વિભાગ યુઝર્સના પર્સનલ મેસેજીસ વાંચે છે. વોટ્સએપના ફિચર પ્રમાણે જો "બે બ્લ્યુ ટીક માર્ક" હોય તો મેસેજ રીસીવ કરનાર વ્યક્તિએ તે મેસેજ વાંચી લીધો છે પરંતુ અફવા પ્રમાણે જો હવે મેસેજમાં "બે બ્લ્યુ ઉપરાંત એક લાલ ટીક માર્ક" હશે તો એ મેસેજ પોલીસે પણ વાંચી લીધો છે અને તે મેસેજ સેન્ડ કરનાર વ્યક્તિની ધરપકડ કરવા જઇ રહી છે. જોકે આ એક અફવા છે.
હિમાશું કિકાણીએ અફવા અંગે જણાવ્યું હતું કે તાજેતરમાં જ કેટલાક ભણેલા ગણેલા લોકો એ પણ કંઇ જાણ્યા કે સમજ્યા વગર આ પ્રકારની અફવા ફેલાતા મેસેજને વેગ આપ્યો હતો. વોટ્સએપ યુઝર્સની પર્સનલ બાબતોનો ખ્યાલ રાખે છે અને જ્યાં સુધી તે મેસેજીસનો ગૂગલ ડ્રાઇવ પર બેકઅપ હોય અને જો સુરક્ષા એજન્સી તે મેસેજીસ કંપની પાસેથી મંગાવે ત્યારે જ એ યુઝરનો ડેટા તે વાંચી શકે છે.

યુઝર તરીકેની સામાજિક જવાબદારી
વોટ્સએપ વાપરતા યુઝરની સામાજિક જવાબદારી ઘણી છે. વોટ્સએપ પર આવતા તમામ મેસેજીસ સાચ્ચા જ હોવા તે જરૂરી નથી. એક યુઝર તરીકે ખોટા મેસેજીસ ગંભીરરૂપ ધારણ ન કરે તે માટે યુઝરે તે મેસેજ ફોરવર્ડ નહીં કરીને ત્યાં જ અટકાવી દેવો જોઇએ.
"વોટ્સએપ કે અન્ય મેસજીંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા યુઝર્સની એક ક્લિકથી બીજી વ્યક્તિના જીવન પર મોટી અસર થઇ શકે છે. ભારતમાં લોકો એટલા ડિઝિટલી જાગૃત નથી. તેમને સાચા અને ખોટા મેસેજ વિશે જાણતા શીખવું પડશે અને ખોટા મેસેજ ફેલાવવા કરતાં તેને અટકાવવામાં સહયોગ આપવો પડશે," તેમ હિમાશું કિકાણીએ જણાવ્યું હતું.

