ધરમવીર પાલ આઠ મહિનાની ઉંમરે પોલિયોનો શિકાર બનતા તેનામાં વિકલાંગતા આવી હતી પરંતુ એ તેની પ્રિય રમત ક્રિકેટ સાથે જોડાવવાથી ન રોકી શકી.
25 વર્ષીય ધરમવીર પાલ અત્યારે ભારતીય ક્રિકેટનો સૌથી પ્રામાણિક પ્રશંસક ગણાય છે અને આ જ કારણે તે ભારતીય ટીમના 12 ખેલાડી તરીકે વધારે પ્રચલિત છે.

ક્રિકેટ સાથેનો નાતો
મધ્ય પ્રદેશના મોરેના ગામના વતની ધરમવીર પાલે SBS Gujarati સાથે પોતાની લાગણીઓ રજૂ કરી હતી.
"મારું સપનું ભારત માટે ક્રિકેટ રમવાનું હતું પરંતુ કમનસીબે તે પૂરું ન થયું. હું મારા રાજ્ય મધ્ય પ્રદેશની વિકલાંગ ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, પરંતુ ગરીબીના લીધે મેં ટીમનો સાથ છોડ્યો અને નવી દિલ્હીમાં એક હોટેલમાં જઇને મજૂરીનું કામ સ્વીકાર્યું."

"લગભગ બે મહિના ત્યાં કામ કર્યા બાદ હું મારા ઘરે જવા ટ્રેનની રાહ જોતો સ્ટેશન પર ઉભો હતો ત્યારે મને ખબર પડી કે ભારતીય ક્રિકેટ ટીમ મોહાલી (નવી દિલ્હીથી લગભગ 250 કિલોમીટર)માં ટેસ્ટ મેચ રમી રહી છે. મેં મોહાલીની ટ્રેન પકડી અને સ્ટેડિયમ પહોંચ્યો પરંતુ ટિકીટ વગર મને સિક્યોરિટી ગાર્ડે સ્ટેડિયમમાં પ્રવેશ ન આપ્યો."

"હું ત્યાં આવતા - જતાં અન્ય પ્રેક્ષકો પાસે ટિકીટ માંગી રહ્યો હતો પરંતુ કોઇએ મને મદદ ન કરી. એટલામાં જ મેદાનના પિચ ક્યુરેટર દલજીત સિંઘની મારી પર નજર પડી અને તે મને સ્ટેડિયમમાં લઇ ગયા. મારા જીવનમાં પ્રથમ વખત મેં સ્ટેડિયમમાં બેસીને મેચ જોઇ અને તે પણ બાઉન્ડ્રી લાઇન પાસેથી."
ભારતીય ક્રિકેટર્સ સાથે સંબંધ
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે પોતાના સંબંધ અંગે ધરમવીરે જણાવ્યું હતું કે, "BCCIએ 2006માં સૌ પ્રથમ વખત મારું એક્રિડેશન કાર્ડ બનાવ્યું હતું. ભારતીય ટીમના બોલર હરભજન સિંઘે મને 1000 રૂપિયાની નોટ આપી હતી અને યુવરાજ સિંઘે મને વચન આપ્યું હતું કે હવે ભારતીય ટીમ તારો મેચ જોવાનો તમામ ખર્ચ ઉપાડશે."

"હું બાઉન્ડ્રી પાસે બેસીને ટીમને પ્રોત્સાહન આપું છું અને ટીમના 12મા ખેલાડી તરીકે પોતાની સેવા આપું છું. મને તમામ મેચો માટે એક્રિડેશન કાર્ડ અપાય છે. "

200થી વધારે વન-ડે, 70થી વધારે ટેસ્ટ મેચ
ધરમવીર પાલ ભલે પોતાના બંને હાથ વડે ચાલતો હોય પરંતુ તેણે સામાન્ય ક્રિકેટ પ્રશંસક કરતાં વધારે સ્ટેડિયમ અને વધારે મેચ નિહાળી છે. તેણે અત્યાર સુધીમાં 200થી વધારે વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ, 70થી વધારે ટેસ્ટ મેચ અને 100થી વધારે ટી-20 મેચ જોઇ છે. આ ઉપરાંત તેમાં વન-ડે વર્લ્ડ કપ તથા આઇપીએલનો પણ સમાવેશ થાય છે.

