જાન્યુઆરી 26, 1788ના રોજ સિડની કોવ ખાતે પ્રથમ કાફલો ઓસ્ટ્રેલિયા આવી પહોંચ્યો હતો. અને, આ ધરતીના કોઇ માલિક કે રહેવાસી નથી તેવી જાહેરાત સાથે તેની પર કબ્જો કર્યો હતો, પરંતુ, એબોરિજિનલ લોકો 65,000 વર્ષ અગાઉથી આ ભૂમિ પર વસવાટ કરતા હતા.
તે તારીખ સત્તાવાર રીતે ઓસ્ટ્રેલિયાના નેશનલ ડે તરીકે જાહેર કરવામાં આવી છે. જોકે, ઘણા ફર્સ્ટ નેશન્સ સમુદાય તથા તેની સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ઉજવણીથી ઘણો દૂર છે.
જાન્યુઆરી 26, 1938ના રોજ જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ કાફલો દેશમાં આવ્યો તેના 150 વર્ષની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે વિલિયમ કૂપરની ઓસ્ટ્રેલિયન એબોરિજિનીઝ લીગે જેક પેટર્ન તથા વિલિયમ ફર્ગ્યુસનની આગેવાની હેઠળની એબોરિજિનીઝ પ્રોગ્રેસિવ મૂવમેન્ટ સાથે હાથ મિલાવ્યો અને શોક દિવસ હેઠળ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
આ આગેવાનોએ પ્રદર્શન દ્વારા તેમના લોકો પર થઇ રહેલા પૂર્વગ્રહ તથા ભેદભાવનો લોકશાહી ઢબે અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો સરકારે વિરોધ કર્યો હતો. શોક દિવસ દ્વારા તેમણે તેમની સામે શ્વેત ઓસ્ટ્રેલિયન્સ દ્વારા થઇ રહેલા ખરાબ વર્તનનો વિરોધ કરીને એબોરિજિનલ લોકોને નાગરિક તરીકેના તમામ હકો આપવાની માંગ કરી હતી.
"હવે આપણી પાસે વિવિધ બાબતો બદલવાની તક રહેલી છે. આપણે આ મુદ્દા પર ખૂબ જ જોર લગાવીને લડવું પડશે. મને ખબર છે, જો આપણને તક મળે તો આપણે અન્ય લોકો સાથે બરાબરી કરી શકીએ છીએ. આપણે સમગ્ર કોમનવેલ્થમાં એબોરિજિનલ સમુદાયના ઉદ્ઘાર માટે એકજૂટ થઇને કાર્ય કરવું પડશે," તેમ વિલિયમ કૂપરે જણાવ્યું હતું.
વિરોધ પ્રદર્શન દ્વારા, તેમણે તેમનો દેશ ગુમાવવાનો, આઝાદી ગુમાવવાની, આત્મનિર્ધારણ તથા વસાહતીકરણ થયું ત્યારથી મૃત્યુ પામેલા તેમના સ્વજનો માટે શોક મનાવ્યો હતો.
"આજના દિવસે શ્વેત લોકો ઉજવણી કરે છે, પરંતુ આપણે એબઓરિજિનલ લોકો પાસે ઓસ્ટ્રેલિયાની 150મી વર્ષગાંઠ મનાવવાનું કોઇ કારણ નથી. આજે મળવાનો આપણો હેતૂ ઓસ્ટ્રેલિયાના શ્વેત લોકોને તે ભયાનક પરિસ્થિતિથી અવગત કરાવવાનો છે જેમાં આ ખંડના મૂળ નિવાસીઓ રહે છે."
"આપણે ફરીથી અંધારામાં ધકેલવાનો વિરોધ કરીએ છીએ. આપણા અવાજને સાંભળવામાં આવે તે આપણે નક્કી કર્યું છે. શ્વેત ઓસ્ટ્રેલિયન્સ માને છે કે ઓસ્ટ્રેલિયાના એબોરિજિનલ લોકો નિમ્ન કક્ષાના છે અને તેમને સુધારી શકાશે નહીં. તેમને આપણો જવાબ છે કે - "અમને તક આપો!" અમે ઓસ્ટ્રેલિયાના વિકાસની દોડમાં પાછળ પડી જવા માંગતા નથી. અમે નાગરિકતાના પૂર્ણ હકો માંગીએ છીએ," તેમ જેક પેટર્ને જણાવ્યું હતું.
શોક દિવસના પ્રદર્શનોનું સિડનીના ઓસ્ટ્રેલિયા હોલ ખાતે સમાપન થયું હતું. જે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ આદિજાતી કાર્યક્રમ બન્યો હતો. આ ઘટના બાદ વર્તમાન સમયમાં ચાલી રહેલી ફર્સ્ટ નેશન્સ રાઇટ્સ મૂવમેન્ટની પણ શરૂઆત થઇ હોવાનું મનાય છે.
"મેં અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લીધી છે અને મેં એબોરિજિનીઝ રીઝર્વ ખાતે આપણા લોકોની દર્દનાક વેદનાઓ જોઇ છે. પરંતુ, હવે સમય આવી ગયો છે કે આપણે આપણા માટે કંઇક કરીએ જેથી આપણો અવાજ સંભળાય. અને, એટલે જ એબોરિજિનીઝ પ્રોગ્રેસિવ એસોસિયેશનની રચના કરવામાં આવી છે," તેમ વિલિયમ ફર્ગ્યુસને જણાવ્યું હતું.
આ સાથે જ, શોક દિવસનું આયોજન આદિજાતી સમુદાય તથા તેમની સાથે જોડાયેલા લોકો માટે વાર્ષિક ધોરણે થતું હતું અને જે સુધારા તરફ દોરી ગયું હતું અને જેના કારણે 1967નો જનમત થયો હતો.
જાન્યુઆરી 26, 1972ના રોજ, ચાર ઓસ્ટ્રેલિયન્સે કેનબેરા ખાતેની સંસદની સામે બિચ અમ્બ્રેલા સ્થાપી હતી. જેને તેમણે એબોરિજિનલ ટેન્ટ એમ્બેસી નામ આપ્યું હતું. એક અલગ પ્રકારના વિરોધ પ્રદર્શનને કારણે આદિજાતીના હકોની ચળવળ પુનજીવિત થઇ હતી. તેને જમીન અધિકારો માટે યોજાઇ રહેલી મુખ્ય રેલી સાથે જોડવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત થઇ હતી.

જાન્યુઆરી 26, 1988ના રોજ ઓસ્ટ્રેલિયા પ્રથમ કાફલો દેશમાં આવ્યો તેની બીજી શતાબ્દી ઉજવી રહ્યું હતું. જેમાં તમામ ઓસ્ટ્રેલિયન્સ માટે જીવનના સકારાત્મક અનુભવોને વાચા આપવા કાર્યક્રમો યોજાયા હતા. તેને પ્રતિસમતુલિત કરવા માટે ફર્સ્ટ નેશન્સ સમુદાય તથા તેની સાથે જોડાયેલા લોકોએ દ્વીશતાબ્દી વિરોધ (Bicentenary Protests)નું આયોજન કર્યું હતું. તેમાં સિડની ખાતે યોજાયેલા પ્રદર્શનમાં 40,000 પ્રદર્શનકારીઓએ ભાગ લીધો હતો. તે વિયેતનામ યુદ્ધ પછી દેશમાં યોજાયેલું સૌથી મોટું વિરોધ પ્રદર્શન બન્યું હતું.
આ વિરોધ પ્રદર્શનો એબોરિજિનલ લોકોના કસ્ટડી દરમિયાન થયેલા મૃત્યુ અંગે રોયલ કમિશન (1987-1991) ની તપાસની પૃષ્ઠભૂમિમાં થયા હતા. જે તેમના જમીનના હકો તથા સંધિ સાથેની વધુ એક થીમ હતી.
વર્ષ 1988માં યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં ફર્સ્ટ નેશન્સ લોકોએ જાન્યુઆરી 26ને 'આક્રમણ દિવસ' જાહેર કર્યો હતો અને તેને ઓસ્ટ્રેલિયા ડે તરીકે મનાવવાનો વિરોધ કર્યો હતો. તેમના પોસ્ટરમાં 'શ્વેત ઓસ્ટ્રેલિયન્સનો ઇતિહાસ કાળો છે - 1988ની ઉજવણી ન કરો' અને 'ઓસ્ટ્રેલિયા ડે = આક્રમણ દિવસ 1988.'
આજનો દિવસ આપણા અસ્તિત્વની ઉજવણીનો છે. શ્વેત લોકોના આવવાના કારણે એવું કંઇ જ નથી જેની એબોરિજિનલ લોકો ઉજવણી કરી શકે. અને, નિષ્પક્ષ ઓસ્ટ્રેલિયન્સ પણ ઉજવણીનું કોઇ કારણ શોધી શકશે નહીં કારણ કે ત્યાર બાદથી નરસંહાર, પૃથ્વીના વિનાશ તથા સંસ્કૃતિના વિનાશની શરૂઆત થઇ હતી. જેણે ઓસ્ટ્રેલિયાને ઘણાં ઘા, પીડા તથા કષ્ટ આપ્યા છે," તેમ ન્યૂ સાઉથ વેલ્સ એબોરિજિનલ લેન્ડ રાઇટ્સ એક્ટના રજીસ્ટ્રાર તથા માર્ચ 88 કમિટિના સભ્ય ક્રિસ કિર્કબ્રાઇટે જણાવ્યું હતું.
આપણે આજના દિવસને ઉજવવાની ઇચ્છા રાખીએ છીએ. આપણા અસ્તિત્વને ઉજવીએ અને આપણી સંસ્કૃતિનું પ્રદર્શન કરીએ.
આ મંતવ્યોને પ્રદર્શનકારીઓએ વધાવી લીધા હતા અને તેને રેડિયો રેડફર્ન દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. "હું માનું છું કે આ આપણો શોક દિવસ છે, પરંતુ, તે આપણા માટે ઉજવણીનો પણ દિવસ છે, કારણ કે આપણે શ્વેત આક્રમણના 200 વર્ષો સુધી આપણું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે," તેમ એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર દેશમાં જાન્યુઆરી 26ને રાષ્ટ્રીય દિવસ તરીકે ગણવાની માંગ જોર પકડી રહી છે. કારણ કે તે ફર્સ્ટ નેશન્સના લોકો માટે ઉજવણીનો દિવસ નથી.
મુખ્ય માધ્યમો દ્વારા પણ Change the Date ચળવળને સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે અને ઘણી સંસ્થાઓ દેશમાં વિવિધ સ્થળે યોજાતી આક્રમણ દિવસની રેલીમાં ભાગ લે છે.

