મેલબોર્નમાં ભારતીય વિદ્યાર્થી મૌલિનના મૃત્યું બાદ તેનું પાર્થિવ શરીર તેના પરિવારને સોંપવા માટે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો પ્રયત્ન કરી રહ્યા છે અને તે માટે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો દ્વારા ફંડ ઉઘરાવવાની શરૂઆત કરવામાં આવી છે. મૌલિનનો પરિવાર તેના પાર્થિવ શરીરની રાહ જોઇ રહ્યો છે પરંતુ કેટલીક કાયદાકિય પ્રક્રિયાના કારણે તેનું પાર્થિવ શરીર ભારત મોકલવામાં વિલંબ થઇ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમાજે ફંડ ઉઘરાવવાનું એક અભિયાન શરૂ કર્યું છે અને વિવિધ ફેસબુક પેજ પર લોકોને મૌલિનનું પાર્થિવ શરીર ભારત પહોંચી જાય તે માટે તેમાં ફાળો આપવા વિનંતી કરી છે.
બીજી તરફ અમદાવાદમાં મૌલિનનો પરિવાર તેના શરીરની રાહ જોઇ રહ્યો છે. મૌલિનની પિતરાઇ બહેન પ્રિયંકાએ SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અત્યારે અમારી પ્રાથમિકતા મૌલિનની બોડી અમારી પાસે આવી જાય તે છે. તે માટે મે ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્વિટ કરીને તેમની મદદ માંગતા તેમણે મૌલિનનું પાર્થિવ શરીર ભારત આવી જાય તે માટે બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી છે."
પ્રિયંકાએ ત્યાર બાદ કરેલી એક અન્ય ટ્વિટમાં તેણે મંત્રી સુષ્મા સ્વરાજને મૌલિનની બોડીને ભારત લાવવા અંગે થઇ રહેલો ખર્ચ માફ કરવાની વિનંતી કરી હતી જેના જવાબમાં મંત્રી સુષ્મા સ્વરાજે પરિવારને કોઇ પણ પ્રકારની ચિંતા ન કરવા અંગે વળતો જવાબ આપ્યો હતો.
"આ ઉપરાંત અમે ઓસ્ટ્રેલિયામાં પણ સતત ભારતીય સમાજના સંપર્કમાં છીએ અને તેઓ અમને વિવિધ ગતિવિધીઓ અંગેની માહિતી પહોંચાડી રહ્યા છે," તેમ પ્રિયંકાએ જણાવ્યું હતું.
મળતી માહિતી મૂજબ મૌલિન તાજેતરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન ભારત ગયો હતો અને તે ફરીથી નવેમ્બર મહિનામાં તેનો અભ્યાસ પૂરો થાય ત્યારે ભારત જવાનો હતો.
બીજી તરફ મેલ્બોર્ન સ્થિત ભારતીય કોન્સ્યુલેટે એક પ્રેસ નોટ જાહેર કરીને તેઓ ઓસ્ટ્રેલિયા તથા ભારત ખાતે મૌલિનના મિત્રો અને પરિવારજનો સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. જોકે મૌલિનનું મૃત્યું રહસ્યમય સંજોગોમાં થયું હોવાથી તેની પાછળ રહેલી કેટલીક કાયદાકિય પ્રક્રિયાના કારણે તેનું પાર્થિવ શરીર ભારત મોકલવામાં વિલંબ થઇ રહ્યો હોવાનું કોન્સ્યુલેટે ઉમેર્યું હતું.


