આજે સામાન્ય રીતે સોશિયલ મીડિયા ટાઈમપાસ માટે કે પછી ટીકા ટિપ્પણી માટે વધુ ચર્ચામાં રહે છે. પણ આજે જાણીએ તેના માધ્યમથી પોતાના પરિવારને ફરી મળી શકેલ ધનાભાઇની કહાની વિષે .
ગુજરાતના કચ્છ જિલ્લાના છેવાડાના દયાપર ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રના નિવાસ સ્થાનની આસપાસ છેલ્લા છ -સાત વર્ષથી એક વ્યક્તિ અર્ધ પાગલ અવસ્થામાં રહેતો હતો. લોકોએ તેનું નામ "ધનો" રાખ્યું હતું. ધનો ગામમાં સફાઈ કરતો, ક્યારેક કોઈ અસામાજિક કે અશાંતિજનક પ્રવૃત્તિ તેના દ્વારા થઇ ન હતી. આથી ગામના લોકોને તેના પ્રત્યે સાંત્વના હતી.
દયાપરના જયશ્રીબહેન ગરવા અને ભવાનભાઈ ગરવા ધનાને જમવાનું આપતા. દસેક દિવસ પહેલા ધનો બીમાર પડ્યો અને પોતાના પરિવારને મળવાનું રટણ કરતો હતો, ભાષા અસ્પષ્ટ હતી.
ધનાની અસ્પષ્ટ ભાષામાં તે તેના ગામનું નામ " નિતોડા" કેહતો હોય તેવું જણાયું. જયશ્રી બહેનના પુત્ર લક્ષ્મણે આ જગ્યા શોધી કાઢવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. ગુગલ પર "નિતોડા" સર્ચ કરતા યુટ્યુબ પર આ ગામ અંગે જાણવા મળ્યું , જે રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવરા તાલુકાનું આદિવાસી વિસ્તારનું ગામ છે. યુટ્યુબ પર આ વિડીયો શેર કરનાર સાથે લક્ષ્મણે વાત કરી અને ફોન નમ્બરની આપ લે કરી.
વોટ્સએપ દ્વારા ધનાનો ફોટો યુટ્યુબરને મોકલવામાં આવ્યો અને જાણવા મળ્યું કે ધનાનું પૂરું નામ ધનાભાઈ દિપાભાઈ ભીલ છે. ધનાભાઈ ઉર્ફે ધનાના પરિવારને જાણ કરવામાં આવી. ધનાભાઈના પરિવારજનોએ જણાવ્યું કે આજથી દસેક વર્ષ પહેલા ધનાભાઈ ઘેટાં- બકરાના ધણમાંથી ખોવાઈ ગયેલ બકરી શોધવા જતા ભટકી ગયેલ અને ત્યારથી તેમના વિષે તેમને કોઈ માહિતી ન હતી.
ધનાભાઈનો પરિવાર ગરીબ છે આથી તેને પરત લઇ જવા આવવા સક્ષમ ન હતો. લક્ષ્મણની આગેવાનીમાં તેમના મિત્રો અને સામાજિક અગ્રણીઓએ ફાળો એકઠો કર્યો જેથી આર્થિક બાબતોને પહોંચી શકાય.
દયાપરના પોલીસ પી એસ આઈ શ્રી વાય પી જાડેજા અને સમગ્ર સ્ટાફે વહીવટી કાર્યવાહી સમજાવી અને તેને પૂર્ણ કરવામાં મદદ કરી.
લક્ષ્મણ અને તેના મિત્રોની ટિમ હાલમાંજ ધનાભાઈ સાથે નિતોડા પહોંચી છે.


