Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

'ઓખી' વાવાઝોડાએ પ્રચારના વાવાઝોડાને મારી બ્રેક

ઓખીને કારણે સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ છવાયેલુ છે, ત્યાં ઈલેક્શનના પ્રચાર પર પણ કાળા વાદળો છવાઈ ગયા છે તેવો માહોલ છે. ઓખી વાવાઝોડાની અસરનાં કારણે ગુજરાતમાં કેટલાક નેતાઓનાં પ્રવાસ રદ કરાયા છે. ચૂંટણી પ્રચાર પર ઓખીએ આંશિક બ્રેક લગાવી છે. તો જાણીએ ચૂંટણીલક્ષી અપડેટ

Rahul Gandhi and Amit Shah
Source: Facebook Rahul Gandhi and Amit Shah

છેલ્લા બે દિવસથી અરબી સમુદ્રમાં જામેલાં વાવાઝોડાંએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ સાવ ઠંડો પડી દીધો છે અને કંઈક અંશે કહીએ તો આ માહોલ બગાડી નાખ્યો છે. વાવાઝોડાને કારણે તીવ્ર પવન ફૂંકાવાની ધારણા હતી જ એટલે ઘણા વિસ્તારોમાં સત્તાવાળાઓએ રાજકીય આગેવાનોને મોટા મંડપ ન બાંધવાની અને શક્ય હોય ત્યાં સુધી જાહેરસભા ન યોજવાની સલાહ સોમવારે જ આપી દીધી હતી. આ કારણે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરતમાં યોજાનારી સભા રદ્દ થઈ  હતી. ભાજપ પ્રમુખ અમિત શાહની  અમરેલીમાં યોજાનારી સભા પણ રદ્દ કરવામાં આવી હતી તો કોંગ્રેસના ઉપ-પ્રમુખ રાહુલ ગાંધીએ બે સભા જતી કરવી પડી હતી.

રાજકીય પક્ષોના કમનસીબે રાજ્યના જે વિસ્તારોમાં પહેલા તબક્કા દરમિયાન એટલે કે નવમી તારીખે મતદાન થવાનું છે ત્યાં જ વાવાઝોડાંની વધુ અસર છે અને એને પરિણામે ત્યાં અત્યારે પ્રચારકાર્ય ખોરવાઈ ગયું છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં હજી આજે અને કાલે પણ વરસાદની આગાહી છે. ગુરુવારે આ મતદારસંઘોમાં પ્રચારનો છેલ્લો દિવસ છે એટલે ભાજપ અને કોંગ્રેસ માટે એ તક વેડફાઈ જવાની પૂરી ધારણા છે.

આમ જોઈએ તો બેમાંથી કોઈ પક્ષ પાસે પ્રચાર માટે ખાસ કશા મુદ્દા પણ નથી અને વિકાસના નામે ચૂંટણી લડાતી હોવાના દાવા છતાં પ્રચારમાં હરીફરીને ધરમ, કોમ અને જાતિની વાત આવી જ જાય છે.

રાજ્યમાં ખેડૂતોની વધી રહેલી મુશ્કેલી, શિક્ષણ અને રોજગારીની સમસ્યા, નોટબંધી તથા કરમાળખામાં થયેલા ફેરફાર પછી વેપારી વર્ગ અને સામાન્ય પ્રજાજનોને પણ થઈ રહેલી તકલીફ જેવા મુદ્દા સ્વીકારવા ભાજપ તૈયાર નથી તો કોંગ્રેસ પાસે એનો વિકલ્પ ન હોવાનું પણ ઊડીને આંખે વળગે છે.

બાકી હોય એમ મતદારોને આકર્ષવાની બંને પક્ષના સ્થાનિક નેતાઓની નબળાઈ પણ ડોકાઈ રહી છે અને આ જ કારણે ભાજપ અને કોંગ્રેસ દિલ્હીથી વધુ ને વધુ આગેવાનોને પ્રચાર માટે ઉતારી રહી છે એટલે ગુજરાતનું ચૂંટણી યુદ્ધ દિલ્હીની પ્રોક્સીથી લડાઈ રહ્યું એમ લાગે છે.

ગુરુવારે મતદાનના પહેલા તબક્કા માટેનો પ્રચાર થંભી જશે એટલે બંને પક્ષ ઉત્તર અને મધ્ય ગુજરામાં એના આગેવાનોની ફૌજ ઉતારશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહના અંતે વધુ એક વાર પ્રચાર માટે આવવાના છે.

આ વચ્ચે ભાજપ માટે આઘાતજનક સમાચાર એ છે કે આ મંગળવારે બહાર પડેલા એક સર્વેમાં સત્તાધારી પક્ષને એકદમ નજીવી સરસાઈ મળે એવું ચિત્ર ઉપસ્યું છે. અલબત્ત, અગાઉના આવા કેટલાક સર્વેમાં ભાજપ સહેલાઈથી વિજયી લક્ષ્ય પાર પાડશે એવો વર્તારો હતો.

વર્તારા કોઈ પણ હોય, એ કેટલા સાચા છે એની ખબર તો 18 ડિસેમ્બરે જ પડશે.


2 min read

Published

Updated

By Hiren Mehta



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now