ભારતીય મૂળની સાત વર્ષીય ઐશ્વર્યા અશ્વસ્થના મૃત્યુ બાદ રજૂ કરવામાં આવેલા રીપોર્ટને તેના માતા-પિતાએ અપૂરતી તપાસ ગણીને ફરીથી એક સ્વતંત્ર તપાસની માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યાની ઇસ્ટર શનિવારના રોજ બેક્ટેરીયલ ઇન્ફેક્શનના કારણે તબિયત બગડી હતી અને ત્યાર બાદ તેના માતા-પિતા તેને પર્થ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ લઇ ગયા હતા.
પરંતુ, ત્યાં તેમને સારવાર માટે 2 કલાક સુધી રાહ જોવી પડી હતી.
પર્થ ચિલ્ડ્રન્સ હોસ્પિટલનો વહીવટ કરતી WA Child and Adolescent Health Services (CAHS) એ તપાસ માટે 6 અઠવાડિયાનો સમય લીધો હતો. જેમાં તેમણે ઐશ્વર્યાની સારવાર તથા તેના મૃત્યુની તપાસ કરી હતી. બુધવારે આ રીપોર્ટ તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.
ગુરુવારે ઐશ્વર્યાના માતા-પિતા, અશ્વથ ચાવિટ્ટુપુરા તથા પ્રસિથા સસિધરને રીપોર્ટ અસંતોષ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, રીપોર્ટમાં ઐશ્વર્યાનું મૃત્યુ કેવા સંજોગોમાં થયું તે અંગે પૂરતી તપાસ કરવામાં આવી નથી.

ઐશ્વર્યાના પિતાએ જણાવ્યું હતું કે, અમને અમારા પ્રશ્નોનો હજી સુધી જવાબ મળ્યો નથી. ઐશ્વર્યાનું મૃત્યુ આરોગ્ય સેવા સાથે સંકળાયેલી બેદરકારીના કારણે થયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, આંતરિક તપાસમાં મહત્વના મુદ્દાને નજરઅંદાજ કરી અમુક જ મુદ્દા વિશે તપાસ કરવામાં આવશે તેની અમને જાણ હતી. તેથી જ અમે સ્વતંત્ર તપાસની માંગ કરી રહ્યા છીએ.
ઘટનાના દિવસે શું બન્યું હતું
ઐશ્વર્યાને ઘરે તાવની અસર જણાતા તેના માતા-પિતા 3 એપ્રિલે સાંજે 5.31 વાગ્યે તેને લઇને પર્થ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા.
તે સમયે ઇમર્જન્સી વિભાગમાં 41 દર્દીઓ હતા. તથા 19 ડોક્ટર્સ અને 14 નર્સ પણ ફરજ પર હાજર હતા.
નર્સે ઐશ્વર્યાને એક મિનીટ બાદ તપાસી હતી. તેના માતા-પિતાએ જણાવ્યું હતું કે નર્સે ઐશ્વર્યાના હ્દયના ધબકારા, બ્લડ પ્રેશર તથા શરીરનું તાપમાનની તપાસ કરી હતી પરંતુ તેનું ઓક્સિજનના સ્તરની તપાસ કરી નહોતી કારણ કે તેના હાથ ખૂબ જ ઠંડા હતા.
ઐશ્વર્યાની માતાએ ઉમેર્યું હતું કે, નર્સે તેને ટ્રાયેજ સ્કોરમાં 4 અંક આપ્યા હતા. એનો મતલબ એમ કે ઓસ્ટ્રેલિયન ટ્રાયેજ સ્કેલ પર આ દર્દીને 60 મિનીટની અંદર તપાસવાની નિમ્ન જરૂરીયાત છે.
દંપતિએ ઉમેર્યું હતું કે તે સમયે જ અમને ખબર પડી ગઇ હતી કે અમારી દિકરીને યોગ્ય સારવાર મળી રહી નથી.
તેમણે હોસ્પિટલના સ્ટાફને ઐશ્વર્યાને સારવાર આપવા માટે પાંચ વખત વિનંતી કરી.
સસિધરને હોસ્પિટલનો સ્ટાફે યોગ્ય રીતે સહકાર નહીં આપ્યાનો આરોપ લગાવ્યો હતો.
અને, ઐશ્વર્યાનું ડોક્ટરની તપાસ બાદ થોડી મિનીટોમાં જ મૃત્યુ થયું હતું.
બીજી તરફ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મેકગોવાને ઐશ્વર્યાના મૃત્યુ બાદ તેના માતા-પિતાને સાંત્વના પાઠવી છે. પરંતુ, ઘટના બાદ આરોગ્ય મંત્રીના રાજીનામાની માંગ ફગાવી દીધી છે.

