ઓસ્ટ્રેલિયન ફ્રીડમ નેટવર્ક નામક જૂથ હેઠળ ઓસ્ટ્રેલિયાના ખ્રિસ્તી, મુસ્લિમ , બુદ્ધિસ્ટ , હિન્દૂ અને યહૂદી ધર્મના વડા અને ગુલામી વિરોધી વકાલત જૂથના સભ્યોએ આંતરરાષ્ટ્રીય ગુલામી નાબુદી દિવસના ઉપલક્ષે પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલને પત્ર લખ્યો છે.
આ જૂથના સભ્યોની માંગ છે કે ગુલામી અને શોષણથી પીડાતા લોકોના હક્કોના રક્ષણ માટે એક સ્વતંત્ર ગુલામી વિરોધી કમિશનરની નિમણુંક કરવામાં આવે.
ઓસ્ટ્રેલિયા આવતા નવા આંગતુકો કે ફોર્સ લેબરના પીડિત થવાની સંભાવના ધરાવતા લોકોના માનવાધિકાર અને હક્કો અંગે પણ પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં લગભગ 4000 જેટલા લોકો કોઈ પ્રકારની ગુલામીમાં જીવન વ્યતીત કરે છે.
ઓસ્ટ્રેલિયન ફ્રીડમ નેટવર્ક પ્રમાણે કૃષિ અને રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. મોટાભાગે પીડિતો આ અંગે ફરિયાદ ન કરતા હોવાથી પરિસ્થિતિ વધુ પડકારજનક બને છે.


