પ્રતિષ્ઠિત એશિયાટીક સિંહનું નિવાસસ્થાન હાલમાં ખતરામાં મુકાયું હોય તેમ લાગી રહ્યું છે. તુર્કીના પૂર્વ ભાગમાંથી સ્થળાંતર કરનારા સિંહ હાલમાં ગણતરીની સંખ્યામાં ભારતના ગુજરાત રાજ્યના ગીર નેશનલ પાર્ક ખાતે વસી રહ્યા છે.
તેમની સંખ્યા છેલ્લી સિંહ ગણતરી પ્રમાણે 523 છે.
એક સમયે લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા એશિયાટીક લાયન્સને છેલ્લા કેટલાક સમયમાં માનવ વસ્તી સાથે સંઘર્ષ અને ઘર્ષણ થવાના બનાવો વધ્યા છે ત્યારે તેમની સામે ખતરો પેદા થયો છે.
2015માં થયેલી છેલ્લી ગણતરી પ્રમાણે, 1412 સ્ક્વેર કિલોમીટરના ગુજરાતના ગીર વિસ્તારમાં તેમનો વસવાટ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયમાં તેમની સામે થયેલી ક્રૂરતા તેમના એક જંગલના રાજા તરીકેના ભવિષ્ય અંગે શંકા ઉત્પન્ન કરે છે.

હાલમાં ગીર ખાતેની સિંહ અભ્યારણ્ય વિભાગને સિંહ સામેના અત્યાચારના સબૂત મળ્યા હતા. એક વીડિયો ક્લિપમાં માણસોનું એક ગ્રૂપ કે જેમાંથી એક માણસના હાથમાં મરઘી હતી, તે સિંહને મરઘી બતાવીને હેરાન કરી રહ્યો હતો.
તેમની પાસે ઉભેલી એક મહિલાએ તેમને સિંહણને પરેશાન નહીં કરવા અંગે જણાવ્યું હતું. અને થોડા સમય સુધી તે સિંહણને છંછેડ્યા બાદ તેમણે તે મરઘી તેની તરફ ફેંકી હતી, જે તે સિંહણ લઇને જંગલમાં જતી રહી હતી.
અન્ય એક વીડિયો ક્લિપમાં, માણસોનું એક ટોળું સિંહ માટે બનેલા આરક્ષિત વિસ્તારમાં તેની પાછળ ટ્રેક્ટર દોડાવીને તેને પરેશાન કરતું દેખાયું હતું. ત્યાર બાદ ગ્રૂપમાંથી એક માણસ નીચે ઉતર્યો અને તેના હાથમાં રહેલાપથ્થર દ્વારા તે સિંહ તરફ ફેંકતો દેખાયો હતો.

ગુજરાત રાજ્ય લાયન કર્ઝર્વેશન સોસાયટી તરફથી ગિરીશ પાચાણીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, "છેલ્લા ઘણા સમયથી સિંહ તથા માનવીઓ વચ્ચેના ઘર્ષણના કિસ્સાઓ વધી રહ્યા છે. તેનું એક કારણ સિંહની વસ્તી વધવી પણ છે. 2010માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે સિંહની સંખ્યા 411 હતી જ્યારે 2015માં તે 523 સુધી પહોંચી છે."
"સામાન્ય રીતે એક સિંહને શાંતિથી રહેવા માટે 12 કિલોમીટરનો વિસ્તાર જોઇએ છે પણ સિંહની વસ્તીમાં 27 ટકા જેટલો વધારો થવાથી તેઓ માનવ વસ્તી ઘરાવતા વિસ્તારમાં પહોંચી જાય છે. જેથી બંને વચ્ચેના ઘર્ષણના કિસ્સા વધ્યા છે."
"અમારી પાસે મોટી ટીમ છે જે ગીરના જંગલમાં ક્યાંય પણ કોઇ પણ પ્રકારે કોઇ વ્યક્તિ સિંહને પરેશાન કરતો જોવા મળે તો તરત જ અમને માહિતગાર કરે છે."
"લગભગ 300 વોલન્ટિયર અમારા માટે કામ કરે છે અને કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિ પણ નજરે ચડે તો તરત જ અમને જાણ કરે છે."

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2014માં જારી કરવામાં આવેલા એક રીપોર્ટમાં વર્ષ 2013-14માં માણસો તથા સિંહો વચ્ચે ગીરના જંગલમાં ઘર્ષણના 125થી પણ વધારે કિસ્સા જોવા મળ્યા હતા.
તેમાં 14થી વધારે માણસોના મોત તથા 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.
છેલ્લા 2 વર્ષમાં લગભગ 200 જેટલા સિંહોના મોત થયા છે, જેમાંથી 32 મોત તો અકુદરતી હતા. તેમાં ઝેર દ્વારા, ટ્રેન અથવા ભારે વાહનની નીચે આવી જવું અથવા ખેતરમાં રાખવામાં આવેલા ખુલ્લા કુવામાં પડી જવું મોખરે હતું.
સિંહોના મૃત્યું થવા તે સરકાર માટે ખૂબ જ ચિંતાજનક બન્યું છે કારણ કે રાજ્યનું પ્રવાસન તેના ઉપર પણ આધારિત છે.

તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ ગુજરાત સરકારે હવે સિંહની હેરાનગતિ કે તેમને છંછેડતા વ્યક્તિ સામે કડક પગલાં લઇને સાત વર્ષની સખત કેદની જોગવાઇ કરેલી છે.

