કોરોનાવાઇરસની પરિસ્થિતીના કારણે વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરવા પર કેટલીક મર્યાદા અને પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે.
હાલના તબક્કે ઓસ્ટ્રેલિયાના નાગરિક અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ માટે પણ દેશ બહાર મુસાફરી કરવી પ્રતિબંધિત છે. પરંતુ તેઓ, આ બાબતથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાના આરોગ્યમંત્રીએ બાયોસિક્ટોરીટી એક્ટ અંતર્ગત દેશ બહાર મુસાફરી કરવાનો પ્રતિબંધ અમલમાં મૂક્યો હતો. જે અંતર્ગત માત્ર તાત્કાલિક જરૂરિયાત ધરાવતા કેસમાં જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી રહી છે.

મુસાફરીનો પ્રતિબંધ શુ છે?
25મી માર્ચે ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે બાયોસિક્ટોરિટી એક્ટ હેઠળ “Emergency Requirement” નું કારણ દર્શાવીને ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સના ઓસ્ટ્રેલિયાથી બહાર મુસાફરી કરવા પર પ્રતિબંધ અમલમાં મૂક્યો હતો.
ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રોટેક્શન પ્રિન્સિપલ કમિટીની સલાહ બાદ ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં દેશના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ પર દેશ બહાર મુસાફરી કરવાનો પ્રતિબંધ અમલમાં મૂકવાનો આ પ્રથમ બનાવ હતો.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ એક મુસાફર તરીકે એરક્રાફ્ટ અને જહાજ મારફતે દેશ બહાર મુસાફરી કરી શકતા નથી.
ઓસ્ટ્રેલિયા તથા વિશ્વના અન્ય દેશોમાં માનવ શરીરમાં કોરોનાવાઇરસનો ચેપ ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શું આ નિર્ણય કાયદાકિય રીતે યોગ્ય છે?
આરોગ્ય મંત્રીએ મુસાફરી પ્રતિબંધિત કરવાનો નિર્ણય બાયોસિક્ટોરિટી એક્ટ હેઠળ લીધો છે. વાઇરસને ઓસ્ટ્રેલિયામાં ફેલાતો અટકાવવા માટે આરોગ્ય મંત્રી પાસે આ પ્રકારનો નિર્ણય લેવાની સત્તા રહેલી છે.
આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે, તમારા પોતાના દેશ સહિત અન્ય કોઇ પણ દેશની બહાર જવાનો હક છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનો કોઇ હક આપવામાં આવ્યો નથી. એટલે કે, ઓસ્ટ્રેલિયન્સને દેશ બહાર મુસાફરી કરવા માટેનો બંધારણીય હક નથી.
સામાન્ય રીતે નાગરિકોને દેશની બહાર મુસાફરી કરવા પર પ્રતિબંધ ઉત્તર કોરિયા જેવા સરમુખત્યારશાહી ધરાવતા દેશમાં લાદવામાં આવે છે. પરંતુ, આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, મુસાફરી દ્વારા વાઇરસના સંક્રમણનું જોખમ વધુ હોવાથી મુસાફરી પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે.
કેટલાક કિસ્સામાં મુસાફરીની છૂટછાટ મળી શકે
ઓસ્ટ્રેલિયન સરકાર દેશના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સને તાત્કાલિક જરૂરિયાત તથા સ્વભાવિક કારણસર દેશ બહાર પ્રવાસ કરવાની મંજૂરી આપી રહી છે.
પરંતુ, એક આંકડા પ્રમાણે, માર્ચથી ઓગસ્ટના મધ્ય સુધીમાં મળેલી 104,000 અરજીમાંથી માત્ર 34,300 અરજી જ સ્વીકારવામાં આવી છે.
મુસાફરીની મંજૂરી માટે વિનંતી કરતી અરજી બોર્ડર ફોર્સ દ્વારા મંજૂર કરવામાં આવે છે. અરજીકર્તાને પ્રવાસના ઓછામાં ઓછા બે અઠવાડિયા અગાઉ અને ત્રણ મહિનાની અંદર અરજી કરવી જરૂરી છે.
પ્રતિબંધ સાથે જોડાયેલી મુશ્કેલી
સામાન્ય રીતે જ્યારે કોઇ સરકાર આ પ્રકારનો કાયદો અમલમાં લાવે ત્યારે તે ચોક્કસ વ્યાખ્યા રજૂ કરે છે. જોકે, મુસાફરીના પ્રતિબંધ હેઠળ મળનારી છૂટછાટ અંગે કોઇ વ્યાખ્યા રજૂ કરાઇ નથી.
અરજીકર્તાએ મુસાફરીની મંજૂરી મેળવવા માટે કેટલાક પૂરાવા દર્શાવવા પડે છે પરંતુ કયા પૂરાવા રજૂ કરવા જરૂરી છે તે અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી.
અરજી માટેના તમામ દસ્તાવેજ અંગ્રેજી ભાષામાં હોવા જરૂરી છે. સંબંધીનું મૃત્યુ થયું હોય તેવા સંજોગોમાં મૃત્યુનું પ્રમાણપત્ર દર્શાવી શકાય છે.
પ્રતિબંધ ક્યારે પૂરો થશે?
ન્યૂઝીલેન્ડ, કેનેડા, બ્રિટન જેવા દેશોએ તેમના નાગરિકોને વિદેશ મુસાફરી ન કરવાની સલાહ આપી છે પરંતુ તે સંપૂર્ણ રીતે પ્રતિબંધિત નથી.
બીજી તરફ, કઝાકસ્તાન, લિથુઆનિયા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોએ વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં જ્યારે બાયોસિક્ટોરિટી ઇમરજન્સી નો સમય પૂરો થશે ત્યારે વિદેશ પ્રવાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.
વર્તમાન પરિસ્થિતી પ્રમાણે, તે 17મી સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે અને તેને લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
** Anthea Vogl યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડની ખાતે સિનિયર લેક્ચરર છે.
Creative Commons લાયસન્સ હેઠળ આ અહેવાલ The Conversation માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અહીંથી મૂળ અહેવાલ વાંચી શકાય છે.

