સિડનીના રેજેન્ટ્સ પાર્ક ખાતે આવેલા ભારતીય મંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. જેના કારણે 30થી વધારે હિન્દુ દેવી - દેવતાઓની મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે.
આ ઘટના બાદ મંદિરના પૂજારી પારસ મહારાજ અન્ય ભક્તો સાથે ઘરેથી જ ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે.
ઘટના અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, "અમે ક્યારેય પણ વિચાર્યું નહોતું કે આ પ્રકારની ઘટના અહીં ઓસ્ટ્રેલિયામાં બનશે.
અમે હજી પણ આઘાતમાં છીએ અને ઘટના કેવી રીતે બની તે અંગે વિચારી પણ શકતા નથી."

રવિવારે રાત્રે મંદિરમાંથી આવી રહેલા આગના ધૂમાડાના બાદ આ ઘટના બની હોવાની તમામને જાણ થઇ હતી. ઘટના બાદ તાત્કાલિક જ આપાતકાલિકન સેવાની મદદ લેવામાં આવી હતી. પરંતુ અંદર ઘણી મૂર્તિઓને અગાઉથી જ નુકસાન થઇ ચૂક્યું હતું.
અગાઉ અહીં એક સમયે એન્ગલિકન ચર્ચ હતું પરંતુ આજે લગભગ 250 જેટલા લોકો આ ભારતીય મંદિરની મુલાકાત લે છે અને આ અગાઉ ક્યારેય પણ મંદિર પર આ પ્રકારનો હુમલો થયો નથી.
આ અંગે હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના સુરિન્દર જૈને જણાવ્યું હતું કે, "કોણ આ પ્રકારની ઘટના પાછળ જવાબદાર છે તે કહી શકાય તેમ નથી પરંતુ આ ઘટના બાદ ઘણા ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે."
કાઉન્સિલની ગણતરી પ્રમાણે તમામ મૂર્તિઓને મરામત તથા તેને બદલવા પાછળ લગભગ 50,000 ઓસ્ટ્રેલિયન ડોલર જેટલો ખર્ચ થશે.
જૈનના જણાવ્યા પ્રમાણે, "અમે ક્યાંય જવાના નથી. આ અમારું પણ ઘર છે. ઓસ્ટ્રેલિયા તમામ સંસ્કૃતિઓને સન્માન આપતો સમાજ છે. અત્યારે તમામ પક્ષોના નેતાઓએ આગળ આવીને ઘટનાની નિંદા કરીને જેણે પણ આ કાર્ય કર્યું છે તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે."

બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના બહુસાંસ્કૃતિક મંત્રી રે વિલિયમ્સે એક યાદી બહાર પાડીને પોતાના નિવેદનમાં આ ઘટનાની કડક શબ્દોમાં નિદા કરી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે, "કોઇ પણ સમાજની લાગણી દુભાય અને બહુસાંસ્કૃતિક સમાજની એકતા જોખમમાં મુકાય તેવા કાર્યને સ્વીકારી લેવામાં આવશે નહીં. ભારતીય મંદિરમાં બનેલી ઘટના દુ:ખદ છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને મને આશા છે કે ન્યાય મળશે."

