લોખંડી પુરુષના નામથી જાણીતા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર થઇ ગઇ છે અને આ 182 મીટર (597 ફીટ) ઉંચી પ્રતિમા આગામી 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇની જન્મજયંતિના દિવસે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લી મુકાશે.
ગુજરાતના કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમથી લગભગ 3.5 કિલોમીટરના અંતરે આવેલા સાધુબેટ વિસ્તારમાં આ પ્રતિમા મુકવામાં આવી છે.

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને બાંધવાનો કુલ ખર્ચ આશરે 2389 કરોડ રૂપિયા જેટલો થયો છે અને તેનું કાર્ય લગભગ 4 વર્ષ સુધી ચાલ્યું છે.
આગામી દિવસોમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થવા જઇ રહ્યું છે ત્યારે તમામ લોકોની નજર તેની એક ઝલક મેળવવા પર રહેલી છે.
હાલમાં જ ગુજરાતના અગ્રણી અખબાર દિવ્યભાસ્કરના સિનિયર ફોટોજર્નાલિસ્ટ રીતેશ પટેલના દાવા પ્રમાણે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ડ્રોન કેમેરા દ્વારા સૌપ્રથમ ફોટો ઝડપ્યો હતો. તેમણે SBS Gujarati સાથે પોતાનો આ એક્સક્લુઝીવ ફોટો ક્લિક કરવા અંગેની સફરની વાત કરી હતી.

રીતેશ પટેલના જણાવ્યા પ્રમાણે 31મી ઓક્ટોબરે થનારા ઉદ્ધાટનના ઘણા સમય પહેલા તેમણે નક્કી કર્યું હતું કે તેઓ પ્રતિમાનો ફોટો ક્લિક કરશે અને આ માટે 4થી ઓક્ટોબરે તે પ્રતિમા સ્થળ પર પહોંચ્યા હતા.
રીતેશે જણાવ્યું હતું કે, "ત્યાં પહોંચ્યા પછી મને ફરજ પરના કોઇ પણ અધિકારીએ ક્યારે પ્રતિમાનું કાર્ય પૂરું થઇ જશે તે અંગે માહિતી આપી નહોતી પરંતુ મેં જોયું કે ત્યાં કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું હતું અને એક સાથે લગભગ 3000 જેટલા કારીગરો કામ કરી રહ્યા હતા. તેથી મેં નક્કી કર્યું હતું કે ફોટો લીધા વિના પરત જવું યોગ્ય નથી."

"બીજી તરફ ઉદ્ધાટનનો સમય નજીક આવી રહ્યો હોવાથી ત્યાં સરકારી અધિકારીઓની અવરજવર પણ વધી ગઇ હતી અને પ્રતિમા સિવાય તેની આજુબાજુના વિસ્તારને પણ યોગ્ય બનાવાઇ રહ્યો હતો. "
"હું જે હોટલમાં રોકાયો હતો ત્યાંથી પ્રતિમાનું અંતર લગભગ 5 કિલોમીટર જેટલુ હતું. તેમ છતાં પણ દિવસમાં લગભગ ચારથી પાંચ વખત અમે પ્રતિમા સ્થળે ચેક કરવા જતા હતા તે પ્રતિમા બની કે નહીં કારણ કે મનમાં એ ડર હતો કે પ્રતિમા બની જાય અને તેને જો કપડાંથી ઢાંકી દેવામાં આવે તો યોગ્ય ફોટો નહીં ક્લિક કરી શકાય," તેમ રીતેશે જણાવ્યું હતું.
"સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય ભાગો મોટી ટ્રકોમાં લાવવામાં આવી રહ્યા હતા. સરદાર પટેલની આંખ તથા ચંપલના ભાગને ચાર ટ્રક ભેગી મળીને લાવ્યા હતા."
રીતેશના જણાવ્યા પ્રમાણે, તે દરરોજ ચારથી પાંચ વખત સ્થળની રેકી કરતાં હતા પરંતુ ફોટો ક્લિક કરતાં નહોતા કારણ કે તેઓ ડ્રોન વડે ફોટો ક્લિક કરવા માંગતા હતા.
આખરે આઠ દિવસની મહેનત બાદ, 11મી ઓક્ટોબરે સવારે પ્રતિમાનું કાર્ય પૂરું થઇ ગયું હોવાનું જાણવા મળતા રીતેશ સ્થળ પર પહોંચી ગયા અને તેમણે સવારે નવ વાગ્યે સૂર્યના કિરણોને ધ્યાનમાં રાખીને એક યોગ્ય એંગલ સેટ કરીને ડ્રોન કેમેરાની મદદથી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાનો ફોટો ક્લિક કર્યો હતો. ફોટો અખબારમાં છપાતા સરકારે ત્યાર બાદ કોઇ પણ માધ્યમને ડ્રોન વડે ફોટો ફોટો પાડતા અટકાવ્યા હતા.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે
2013માં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી અને દેશના 28 રાજ્યોના 1 લાખ 70 હજાર ગામડાઓમાંથી લોખંડ ઉઘરાવ્યું હતું.
3500 જેટલા કારીગરો તથા 250 જેટલા એન્જીનીયર્સે ચાર વર્ષ સુધી કાર્ય કરીને આ પ્રતિમાનું નિર્માણ કર્યું છે.
સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેસ્યુ ઓફ યુનિટી 31મી ઓક્ટોબરે તેના અનાવરણની સાથે જ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની જશે. તે ચીનના સ્પ્રીન્ગ ટેમ્પલ બુદ્ધને પાછળ રાખશે જેની ઉંચાઇ 153 મીટર જેટલી છે.

સ્થાનિક લોકોનો વિરોધ
સરકારના જણાવ્યા પ્રમાણે અહીં ભવિષ્યમાં 15 હજાર જેટલી નોકરીની તકો ઉભી થશે પરંતુ સ્થાનિક લોકો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને આદિવાસીઓના આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
"આ વિસ્તારના ૧૩ ગામડાઓ અને ૭૫૦૦ જેટલા આદિવાસીઓની જમીન સરકારે હસ્તક કરી લીધી હોઇ અને યોગ્ય વળતર કે જમીન અપાઈ નથી તેવી માંગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને વડાપ્રધાનના ઉદઘાટન કાર્યક્રમનો વિરોધ અને રસ્તા રોકો જેવા કાર્યક્રમો જાહેર થયા છે," તેમ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છીએ SBS Gujarati ને જણાવ્યું હતું.
આ અસરગ્રસ્ત આદિવાસીઓને સાથ આપવા સમગ્ર રાજ્યના બનાસકાંઠા થી માંડી ડાંગ જિલ્લાના હજારો આદિવાસીઓએ દેખાવો કરવા પ્રસંગના સ્થળે એકત્રિત થવાની જાહેરાત કરી છે. ૧૦૦ જેટલી આદિવાસીઓ અને અન્યાય માટે લડતી સંસ્થાઓએ પણ હાથ મીલાવ્યા છે અને બંધની જાહેરાત કરીને પ્રત્યેક ઘરે ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.
આંદોલનકારીઓ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી રૂપાણીના પોસ્ટર તથા હોર્ડીંગ પર કાળા કુચડા ફેરવાઈ તેને નુકસાન કરવામાં આવ્યું છે. બીજી તરફ, સરકારના જણાવ્યા પ્રમાણે, વિરોધી પક્ષો દ્વારા આદિવાસી વોટ બેન્કને સુરક્ષિત કરવાનો પ્રયાસ હેઠળ આ વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે.

બીજી તરફ, બીબીસીના ગુજરાતના સંવાદદાતા, રોક્સી ગાગડેકરે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં રહેલા લોકો આ પ્રોજેક્ટને લઇને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે કારણ કે તે એક પ્રવાસી સ્થળ તરીકે વિકસાવાઇ રહ્યું છે. સરકાર દ્વારા તેની મોટા પ્રમાણમાં જાહેરાત થતા ભારત દેશના વિવિધ વિસ્તારોમાંથી પણ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે.
"સરકારના એક અંદાજ પ્રમાણે, વર્ષે લગભગ 25 લાખ પ્રવાસીઓ અહીં આવે તેવી શક્યતા છે અને તેના દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળશે, તેમ તેમણે SBS Gujaratiને જણાવ્યું હતું. "
"બીજી તરફ, આ વિસ્તારના 80 ટકા આદિવાસીઓ ખેતી પર જીવન ગુજારે છે. સ્થળની આજુબાજુના 28 ગામડાના ખેડૂતોને આ વખતે સખત ગરમી તથા ઓછા વરસાદના કારણે ખેતી માટે યોગ્ય પાણી ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે."
"આદિવાસીઓના માનવા પ્રમાણે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાથી તેમને કાયમી નોકરી નહીં મળે કારણ કે તેમનો સાક્ષરતા દર ઓછો છે. સરકારે જેટલો ખર્ચ પ્રતિમા બનાવવા પાછળ કર્યો છે એનો ચોથા ભાગનો ખર્ચ પણ તેમની મદદ કરવા કર્યો હોત તો તેમની મુશ્કેલીનો હલ આવી ગયો હોત."

