ઓસ્ટ્રેલિયા કોવિડ-19 પ્રતિરોધક રસીના 80 ટકા લક્ષ્યાંકને હાંસલ કરે ત્યાર બાદ પણ કેટલાક રાજ્યો અને ટેરીટરી રાજ્યોની સરહદો ન ખોલે તેમ લાગી રહ્યું છે. આવો જાણિએ સરહદો બંધ રાખવા અંગે બંધારણના નિયમો વિશે.
ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના લોકો હાલમાં મુસાફરીના પ્રતિબંધ હેઠળ છે પરંતુ જ્યારે કોવિડ-19 રસીનો લક્ષ્યાંક પૂરો થઇ જાય ત્યારે તેમને નિયંત્રણ વિના મુસાફરી થઇ શકશે તેમ જણાવાયું છે.
પરંતુ, વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ફક્ત 80 ટકા રસીકરણ જ રાજ્યોની સરહદો ખુલી મૂકવાનો માપદંડ હોય તેમ લાગતું નથી.
રાજ્યો સરહદો બંધ રાખશે?
યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના પ્રોફેસર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં કોવિડ-19 બાબતોના સલાહકાર પ્રોફેસર મેરી-લુઇસ મેકલોસ જણાવે છે કે રાજ્યો એકબીજા સાથેની સરહદો પરના પ્રતિબંધો યથાવત રાખે તેમ લાગી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે જો બોર્ડર ટેસ્ટીંગ ઉપલબ્ધ ન હોય તો સરહદો બંધ રહે તેમ લાગી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં 60 ટકા વયસ્ક લોકોએ કોવિડ-19 પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે જ્યારે 36 ટકા લોકોએ બંને ડોઝ મેળવ્યા છે.
ભૂતકાળમાં સરહદો બંધ રાખવાના નિર્ણયને કેવી રીતે પકડારવામાં આવ્યો હતો?
ભૂતકાળમાં રાજ્યોની સરહદો બંધ કરવાના નિર્ણય સામે કરવામાં આવેલી અપીલ અસફળ રહી હતી.
માઇનિંગ વેપાર સાથે સંકળાયેલા ક્લાઇવ પાલ્મેરે ગયા વર્ષે સરહદો બંધ કરવાના નિર્ણયને બંધારણના નિયમોનું ઉલ્લંઘન ગણાવીને હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી.
ઓસ્ટ્રેલિયાના બંધારણનો નિયમ
રાજ્યોની સરહદો બંધ કરવા બાબતનો ઉલ્લેખ સેક્શન 92 અને સેક્શન 117માં કરવામાં આવ્યો છે.
સેક્શન 92માં જણાવ્યા પ્રમાણે - રાજ્યો વચ્ચે કસ્ટમ, વેપાર, વાણિજ્ય તથા દેશના રહેવાસીઓની અવરજવર રસ્તા તથા દરિયાઇમાર્ગે થઇ શકે છે.
સેક્શન 117માં જણાવ્યા પ્રમાણે - ઓસ્ટ્રેલિયાના કોઇ પણ રાજ્યમાં રહેતા રહેવાસીને અન્ય રાજ્યમાં કોઇ પણ પ્રકારનો ભેદભાવ લાગૂ થઇ શકશે નહીં.

બંધારણની બાબતોના નિષ્ણાત યુનિવર્સિટી ઓફ સિડનીના પ્રોફેસર એની વોમીએ જણાવ્યું હતું કે, જાહેર આરોગ્યની બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યોની સરહદો બંધ થઇ શકે છે.
રાજ્યો 80 ટકા રસીકરણની યોજના સાથે સહેમત થયા?
સરકારના ચાર તબક્કામાં ઓસ્ટ્રેલિયાને ફરીથી શરૂ કરવાની યોજના અંતર્ગત 70 ટકા રસીકરણ બાદ લોકડાઉનની શક્યતા નહીવત થશે. 80 ટકા રસીકરણ બાદ લોકડાઉનની જરૂરીયાત જણાશે તો જ તેને લાગૂ કરાશે.
મોટાભાગના રાજ્યોએ કેન્દ્રીય યોજના સાથે સહેમતિ દર્શાવી છે. જોકે, અન્ય કેટલાક રાજ્યો હજી પણ સહેમતિ દર્શાવે તેમ લાગતું નથી.
એસોસિયેટ પ્રોફેસર સિમ્પસનના જણાવ્યા પ્રમાણે, એક વખત રસીકરણનો લક્ષ્યાંક હાંસલ થઇ જાય ત્યાર બાદ હાઇકોર્ટે આર્થિક, મનોવૈજ્ઞાનિક બાબતોને ધ્યાનમાં રાખીને લોકડાઉન અંગે નિર્ણય લેવો જોઇએ.
શું કેન્દ્રીય સરકાર રાજ્યોના નિર્ણયને બદલી શકે?
પ્રોફેસર વોમી જણાવે છે કે કેન્દ્રીય સરકાર રાજ્યોના સરહદીય પ્રતિબંધોના નિર્ણયને બદલી શકે છે. પરંતુ તેમણે તેમ કર્યું નથી.
પ્રોફેસર મેકલોસે જણાવ્યું હતું કે રાજ્યોના સરહદીય પ્રતિબંધોના કારણે ઓસ્ટ્રેલિયા વાઇરસને રોકવામાં સફળ રહ્યું છે પરંતુ ડેલ્ટા પ્રકારના ચેપના કારણે રાજ્ય સરકારો નિયમ બદલે તે જરૂરી છે.
ડેલ્ટા પ્રકારના ચેપને સમાપ્ત કરવો અશક્ય હોવાથી તેને ઓછો કરવા પર કાર્ય થાય તે જરૂરી છે.






