ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીય નાગરિકોને વતન પરત લઇ જવાનો પ્રથમ તબક્કો પૂરો થયો છે અને હવે ભારત સરકારે બીજા તબક્કાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.
વંદે ભારત મિશન હેઠળ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત જવા માંગતા નાગરિકો માટે 17થી 24 જૂન સુધી ફ્લાઇટ્સ નક્કી કરવામાં આવી છે.
ગુરુવારે કેનબેરા સ્થિત ભારતીય હાઇકમિશને જારી કરેલા એક નિવેદનમાં આ તમામ ફ્લાઇટ્સ વિશે માહિતી આપવામાં આવી હતી.
સિડની – મેલ્બર્નથી ભારતના 5 શહેરો માટે ફ્લાઇટ્સ
કેનબેરા સ્થિત ભારતીય હાઇકમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો પ્રમાણે 17મી જૂનથી 24મી જૂન સુધી ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલ્બર્નથી ભારતના 5 શહેર – ન્યૂ દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલોર, કોચ્ચિ માટે ફ્લાઇટ્સ નક્કી કરવામાં આવી છે.
- 17 જૂન – સિડનીથી ન્યૂ દિલ્હી
- 18 જૂન – સિડનીથી ન્યૂ દિલ્હી
- 19 જૂન – સિડનીથી ન્યૂ દિલ્હી
- 20 જૂન – મેલ્બર્નથી ન્યૂ દિલ્હી
- 21 જૂન – સિડનીથી અમદાવાદ
- 22 જૂન – મેલ્બર્નથી બેંગલોર
- 23 જૂન – સિડનીથી કોચ્ચિ
- 24 જૂન – મેલ્બર્નથી હૈદરાબાદ
પેસેન્જર્સ માટે કેટલાક દિશાનિર્દેશ નક્કી કરાયા
જે મુસાફરો બીજા તબક્કામાં (17 જૂનથી 24 જૂન) દરમિયાન ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરી રહ્યા છે. તેમના માટે સરકારે કેટલાક દિશાનિર્દેશો નક્કી કર્યા છે.
- જે અંતર્ગત ભારતના કોઇ પણ રાજ્યમાં રહેતા નાગરિક દિલ્હીની ફ્લાઇટ્સમાં મુસાફરી કરી શકે છે. જોકે, તેમણે ફ્લાઇટ્સમાં પ્રવેશ કરતા પહેલા નીચેની બાબતોને સ્વીકારી એક ફોર્મ ભરવું પડશે.
- તેઓ દિલ્હી, દિલ્હી એનસીઆર, હરિયાણા, ભિવાડી અથવા ચંદિગઢમાંથી એક સેન્ટર પર ક્વોરન્ટાઇન થવું પડશે.
- તેમણે નવી માર્ગદર્શિકા પ્રમાણે 7 દિવસ સ્વખર્ચે સેન્ટર દ્વારા નક્કી કરેલા ક્વોરન્ટાઇન સેન્ટરમાં તથા 7 દિવસ ઘરે જ એકાંતવાસમાં રહેવું પડશે.

- ક્વોરન્ટાઇનની સમય પૂરો થયા બાદ તેઓ તેમના રાજ્યમાં – નિવાસસ્થાને જઇ શકે છે. તેઓ આ માટે પોતાની જાતે જ કોઇ વ્યવસ્થા કરી શકે છે અથવા જે-તે રાજ્યના રેસીડેન્ટ કમિશ્નર અથવા નોડલ ઓફિસર વ્યવસ્થા કરશે.
- ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરવાનો ખર્ચો મુસાફરે જાતે જ ભોગવવાનો રહેશે. ભારતીય હાઇકમિશન પસંદ થયેલા મુસાફરોનો સંપર્ક કરશે. આ માહિતી એર ઇન્ડિયા સાથે પણ વહેંચાશે અને ત્યાર બાદ ટિકીટ બુક કરવાની પ્રક્રિયા કરી શકાશે.
- ફ્લાઇટ્સમાં મર્યાદિત સંખ્યામાં સીટ હોવાથી સૌથી જરૂરિયાતમંદ વ્યક્તિને પ્રાથમિકતા અપાશે. જો પસંદ કરાયેલા પેસેન્જર નક્કી કરેલા કલાકની અંદર તેમની ટિકીટ બુક નહીં કરાવે તો તેમના સ્થાને અન્ય પેસેન્જરને તે ટિકીટ ખરીદવાની તક અપાશે.
- તમામ પેસેન્જર્સે ફ્લાઇટ્સમાં બેસતા અગાઉ આરોગ્યની તપાસ કરાવવાની રહેશે અને જેને લક્ષણો નહીં જણાય તે પેસેન્જર જ ફ્લાઇટમાં જઇ શકશે.
- ભારતમાં ઊતરાણ બાદ પેસેન્જરના આરોગ્યની તપાસ થશે અને તેમણે મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતૂ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
- ભારતમાં ઊતરાણ બાદ તમામ પેસેન્જર્સે 14 દિવસ (7 દિવસ ક્વોરન્ટાઇન સેન્ટરમાં અને 7 દિવસ ઘરમાં) એકાંતવાસ કરવો પડશે. આ ઉપરાંત, જો 14 દિવસ બાદ પણ કોરોનાવાઇરસનો ટેસ્ટ કરવાની જરૂર જણાશે તો ટેસ્ટ કરાઇ શકાય છે.
