પર્થમાં રહેતા યદવિન્દર સિંઘ ગયા અઠવાડિયે ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે તેમની સાથે 3 વર્ષની એશલિન રોમાનાને પણ સાથે લાવ્યા હતા.
એશલિન છેલ્લા 15 મહિનાથી તેની દાદી સાથે ભારતમાં હતી. તે શુક્રવારે સિડની પહોંચી હતી. તેની માતાએ સોશિયલ મીડિયા પર યદવિન્દર સિંઘનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ તેઓ એશલિનને પણ તેમની સાથે લાવ્યા હતા.
યદવિન્દર ઓક્ટોબર 2020માં તેમની બિમાર માતાને મળવા માટે ભારત ગયા હતા. તાજેતરમાં જ્યારે યદવિન્દર તેમની ઓસ્ટ્રેલિયા પરત ફરવાની તૈયારી કરતા હતા ત્યારે એશલિનની માતાએ ફેસબુક દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો.

SBS News સાથેની વાતચીતમાં યદવિન્દર સિંઘે જણાવ્યું હતું કે, જ્યારે એશલિનની માતાએ તેમનો સંપર્ક કર્યો ત્યારે તેના અવાજમાં દર્દ હતો. અને ત્યાર બાદ તેમણે એશલિનને તેમની સાથે ઓસ્ટ્રેલિયા લાવવાનો નિર્ણય લીધો હતો.
યદવિન્દરે ઉમેર્યું હતું કે તેમનો દોહા એરપોર્ટ ખાતે 14 કલાકનો વિરામ હતો. તેમની દિકરી સાથે જ તેઓ મુસાફરી કરી રહ્યા હોય તેવો યદવિન્દરને અનુભવ થયો હતો.
એશલિન ફરીથી તેના પરિવારજનોને મળી શકી તેનો યદવિન્દરે આનંદ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, એશલિનના માતા હરપિન્દર રોમાનાએ યદવિન્દરનો આભાર માન્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, યદવિન્દરે તેમની દિકરીની સારસંભાળ લીધી હતી અને તેમના સહકારના કારણે જ તેઓ ભારતમાં ફસાયેલી તેમની દીકરીને 15 મહિના બાદ મળી શક્યા છે.
હરપિન્દરને તેમની દિકરી સાથે એરપોર્ટ પર મુલાકાતની પરવાનગી મળી નહોતી પરંતુ તેમને તેની સાથે હોટલ ક્વોરન્ટાઇનમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 170 બાળકો હાલમાં ભારતમાં ફસાઇ ગયા છે. અને, ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના માતા-પિતા તેમને પરત લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાલમાં અમે ભારત તથા ઓસ્ટ્રેલિયામાં રહેતા પરિવારજનો સાથે મળીને બાળકોને સુરક્ષિત રીતે ઓસ્ટ્રેલિયા પરત લાવવા માટે કાર્ય કરી રહ્યા છીએ.

