યૂરોપ, અમેરિકા કે અન્ય દેશના લોકોની સરખામણીમાં ભારતીય મૂળના લોકોમાં હૃદય રોગનો હુમલો આવવાની શક્યતા ત્રણથી ચાર ગણી વધુ જોવા મળી છે. તેથી જો કોલેસ્ટ્રોલ ઓછું હોય, ડાયાબીટિસ ન હોય, વારસાગત લક્ષણ ન હોય અને આળસુ રહેણીકરણી ન હોય તો હૃદય રોગનો હુમલો ન આવે તેવું માનવું ભૂલ ભરેલું છે. તેમ "How good is your heart" વિષયના એક સેમિનારમાં હૃદયરોગના છ નિષ્ણાતોએ માહિતી આપતા જણાવ્યું હતું.
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી દ્વારા કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે, અમેરિકામાં છેલ્લા ૨૬ વર્ષમાં હાર્ટએટેકના કારણે થયેલા મૃત્યુમાં ૪૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે આ જ સમયમાં હાર્ટએટેકના કારણે મૃત્યુ પામતા ભારતીય લોકોની સંખ્યા ૩૪ ટકા જેટલી વધી ગઇ છે.
૧૯૯૦માં દર એક લાખ ભારતીય વ્યક્તિઓમાં ૧૫૬ લોકો હાર્ટએટેકના કારણે મૃત્યુ પામતા હતા જ્યારે ૨૦૧૬માં તે વધીને ૨૦૯ જેટલું થઇ ગયું છે.

ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ( ઈસવા ) દ્વારા પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં અંદાજે ૨૦૦થી વધારે ભારતીયોએ ભાગ લઇને ડોક્ટર્સ સાથે પ્રશ્નોત્તરી કરી હતી અને ડોક્ટર્સે તેમને ઓડિયો અને વીડિયો દ્વારા હૃદયની કામગીરી વિષે સમજણ આપી હતી.
આ સેમિનારમાં રોયલ પર્થ હોસ્પિટલના કાર્ડીઓલોજીસ્ટ ડો.આદિલ રાજવાનીએ "ડાયાબિટીસ ઇસ નોટ યોર સ્વીટહાર્ટ" વિષય પર ડાયાબિટીસ અને હૃદયરોગ અંગે માહિતી આપી હતી.
ડો.અશોક જે. શાહે પણ ફાઇબ્રિલેશન એટલેકે હાર્ટ રેટ એકદમ વધી જાય ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે તે સમજવ્યું હતું.

માઉન્ટ અને મરડોક હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડીઓલોજી સર્જન ડો. દિપક મેહરોત્રાએ હાર્ટના વાલ્વમાં કેવી ખામી સર્જાય છે અને તે કેવી રીતે સુધારી શકાય, આ ઉપરાંત મોટી ઉંમરવાળા દર્દીઓમાં પેઢાના ભાગથી ઓપરેશન કરવાની એક જુદી જ પદ્ધતિ વિષે માહિતી આપી હતી.
સર ચાર્લ્સ ગાર્ડિનર અને સેન્ટ જ્હોન ઓફ ગોડ સુબિયાકો હોસ્પિટલના ઓપન હાર્ટ સજૅરીના નિષ્ણાત ડો. પ્રજ્ઞેશ જોશીએ ઓપન હાર્ટ સર્જરી કેવી રીતે કરી શકાય અને હકીકતમાં આ સર્જરી કેટલા પ્રકારની હોય છે તે સમજવ્યું હતું.
તેમના જણાવ્યા પ્રમાણે, "જેમ રસ્તામાં ટ્રાફિક જામ થઇ જાય તો આપણે રસ્તો બદલીને જઈએ તેમજ હૃદયમાં લોહી પહોંચાડતી મુખ્ય નળીને એક જગ્યાએથી કાપીને નવી નળી લગાવીને પાછું સીધું જ હૃદયને લોહી પહોચાડવાનું કામ આ ઓપરેશનમાં કરાય છે."

ગ્લોબલ કાર્ડીઓલોજીના કન્સલ્ટન્ટ ઇન્ટરવેશનલ કાર્ડીઓલોજિસ્ટ ડો.રાજેશ કાનનના જણાવ્યા પ્રમાણે, "આપણે ભારતીય મૂળના હોવાથી જ હાર્ટએટેક આવવાની શક્યતા ચારેક ગણી વધી જાય છે. અંદાજે ૩૨૦ લાખ ભારતીયો ભારતની બહાર રહે છે, તેમના ઉપર ઘણા સર્વે થયા છે.
ભારતીયોની લાઈફ સ્ટાઇલ ભારતની બહાર જુદી હોય છે તેમ છતાં, હાર્ટએટેકની શક્યતા ચાર ગણી વધારે જ હોય છે. અનેક સર્વે થયા તો પણ યોગ્ય કારણ જાણી શકાયું નથી. કદાચ, જન્મ સમયે ભારતયોનું વજન યુરોપીયન કે અન્યોની સરખામણીમાં ઓછું હોય છે. આ એક કારણ હોવાની શક્યતા છે જેથી ભારતીયોએ હૃદય રોગનું ધ્યાન રાખવું જરૂરીબન્યું છે.

