ઓસ્ટ્રેલિયામાં વસતા બહુસાંસ્કૃતિક સમાજના વૃદ્ધોને એજ કેરમાં અંગ્રેજી સિવાયની અન્ય ભાષામાં સંવાદ ન થતો હોવાના કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ હવે 1લી જુલાઇથી એજ કેર માટે લાગૂ થઇ ગયેલા નવા ધારા-ધોરણો અનુસાર એજ કેરની ચકાસણી તેમના દ્વારા અંગ્રેજી ન આવડતું હોય તેવા લોકોને અપાતી સુવિધાના આધારે કરવામાં આવશે.
જોકે, અત્યાર સુધી અંગ્રેજી ન આવડતું હોય તેવા સમાજના વૃદ્ધોને એજ કેરમાં સંવાદ કરવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. પર્થ સ્થિત 87 વર્ષીય નેવાના કોતુરને અલ્ઝાઇમરનો રોગ થયો હતો. કોતુર માત્ર સર્બિયન ભાષા જ જાણે છે અને તેમના પરિવારે તેમને અંગ્રેજી ન આવડતું હોવાના કારણે એજ કેરમાં દાખલ કર્યા નહીં અને તેમનો પૌત્ર ઓઝી જ તેમનો કેરર (સારસંભાળ) રાખનાર બની ગયો હતો.

ઓઝીએ આ અંગે જણાવ્યું હતું કે, એજ કેરમાં વૃદ્ધો સાથે સંવાદ કરતા રહેવું પડે છે અને કોતુરને સર્બિયન ભાષા સિવાયની ભાષાનું જ્ઞાન નથી જ્યારે એજ કેરમાં અંગ્રેજી ભાષામાં જ સંવાદ કરવો પડે છે.
એજ કેરમાં કોતુરની સારસંભાળ રાખનાર કેરર માત્ર અંગ્રેજી જ બોલી શકતી હોય તો તે યોગ્ય રીતે પોતાનું કાર્ય કરી શકે નહીં. તેથી જ મારે કેરર બનવું પડ્યું છે.
સંવાદ કરવા કાર્ડ બનાવ્યા
મારીજીયા પોપોવિકના પિતાને ડેમેન્ટીયાનું નિદાન થયું હતું. તેમણે પિતાની યોગ્ય દેખરેખ થઇ શકે તે માટે એજ કેરમાં દાખલ કર્યા હતા પરંતુ ત્યાં તેઓ પોતાની મૂળભાષા સિવાયની અન્ય ભાષા ન જાણતા હોવાથી તેમની હાલત વધુ ખરાબ થઇ ગઇ હતી
પોપોવિકે જણાવ્યું હતું કે, એજ કેરમાં દાખલ થયા ત્યારે તેમના પિતા બોલી શકતા હતા પરંતુ ત્યાર બાદ એજ કેરનો સ્ટાફ પિતાની વાત સમજી ન શકતા તેમની તબિયત વધુ લથડી. મેં તેમના માટે કાર્ડ બનાવ્યા અને તેમાં શબ્દો પણ લખ્યા જેથી તેઓ એજ કેરના સ્ટાફ સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકે અને તેમને પડી રહેલી તકલીફ સમજાવી શકે.
જોકે, તેમના પિતાનું થોડા સમય બાદ નિધન થયું. પાપોવિક જણાવે છે કે એજ કેરના સ્ટાફ સાથે યોગ્ય રીતે વાતચીત ન કરી શકવાના કારણે તેમના પિતાની હાલત વધુ ખરાબ થઇ અને તેમનું નિધન થયું હતું.

એજ કેરમાં અન્ય ભાષામાં સંવાદ જરૂરી
એજ કેરમાં બહુસાંસ્કૃતિક સમાજના લોકોને કેરર સાથે સંવાદ કરવામાં તકલીફ પડતી હોવાના કારણે અન્ય ભાષાનું જ્ઞાન ધરાવતા હોય તેવા કેરરની જરૂર છે.
પાપોવિકે જણાવ્યું હતું કે, "એજ કેરમાં અન્ય ભાષામાં વાતચીત થઇ શકે અને દર્દીઓ, વૃદ્ધો પોતાની ચિંતા યોગ્ય રીતે વ્યક્ત કરી શકે તે માટેની જાગૃતિ લાવવી એ પરિવારોની જવાબદારી છે અને તમામે આ દિશામાં યોગ્ય પગલાં લેવાય તેવી માંગણી કરવી જોઇએ."
1લી જુલાઇથી નવા ધારા-ધોરણો
1લી જુલાઇ 2019 એટલે કે નવા નાણાંકિય વર્ષથી ઓસ્ટ્રેલિયાના એજ કેર માટે નવા ધારા-ધોરણો અમલમાં આવ્યા છે. રોયલ કમિશને એજ કેરની નિષ્ફળતા વિશે આપેલા રીપોર્ટ બાદ એજ કેરે તેમની કાર્યપદ્ધતિમાં સુધારા કરવાની જરૂર છે.
એજ કેરના વ્યવસાયો પાસે બહુસાંસ્કૃતિક સમાજના લોકોને તેમની જ ભાષામાં સંવાદ થઇ શકે તેવી સુવિધા પૂરી પાડવાની તક રહેલી છે.

એજ કેરના વ્યવસાયોને બહુસાંસ્કૃતિક સમાજ સાથે કેવી રીતે વર્તન, સંવાદ કરી શકાય તેની ટ્રેનિંગ આપતી સંસ્થા ફોર્ટિસ કન્સલ્ટીંગના ડાયરેક્ટર મેરી ગુર્ગને જણાવ્યું હતું કે, "એજ કેર અન્ય ભાષામાં સંવાદની સુવિધા આપે તે જરૂરી છે. અત્યાર સુધીમાં ઘણા એજ કેરના વ્યવસાયોએ અન્ય ભાષાઓ સ્વીકારી છે. જેના કારણે તેઓ વૃદ્ધો સાથે યોગ્ય રીતે વાતચીત કરીને તેમને પડતી મુશ્કેલીઓ સમજી શકે છે."
એજ કેર માટેના નવા ધારા-ધોરણો તમામ માટે ફરજિયાત છે અને તેનાથી એજ કેર દ્વારા અપાતી સુવિધામાં સકારાત્મક અભિગમ દેખાશે.
પાંચ ભાષાનું જ્ઞાન
એજ કેરમાં કાર્ય કરતા સ્ટાન્કા ચિચા પાંચ અલગ અલગ ભાષાઓનું જ્ઞાન ધરાવે છે. તેઓ જણાવે છે કે વિવિધ ભાષાઓમાં સંવાદ કરવાના કારણે એજ કેરે એક સકારાત્મક અભિગમનું નિર્માણ કર્યું છે. એજ કેરમાં કાર્ય કરતા સ્વયંસેવકો અન્ય ભાષાઓમાં વાતચીત કરી શકતા હોવાના કારણે એજ કેરના દાખલ થયેલા લોકોને સંતોષજનક અનુભવ થઇ રહ્યો છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

