દર મંગળવારે સાંજે, વરસાદ હોય કે ઠંડી હોય – ઉમેશ ચંદ્રા મંદિરે દર્શન કરવા માટે જાય છે. બ્રિસબેનના ઉત્તર ભાગમાં આવેલા બૂન્ડાલ વિસ્તારમાં તે હિન્દુ મંદિર આવેલું છે. તે મંદિર ગાયત્રી માતાનું છે.
SBS News સાથેની વાતચીતમાં ઉમેશે જણાવ્યું હતું કે આ સ્ટ્રીટથી જ સફરની શરૂઆત થઇ હતી અને મંદિરનું નિર્માણ થયું.
1987માં ઓસ્ટ્રેલિયા સ્થળાંતર
ઉમેશ ચંદ્રા તેમની પત્ની સાથે વર્ષ 1987માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેર માઇગ્રેટ થયા હતા. પરંતુ, ત્યાર બાદ તેઓ બ્રિસબેન વસી ગયા હતા.

1988માં તેમને બ્રિસબેનમાં એક પણ હિન્દુ મંદિર જોવા મળ્યું નહોતું. તેમણે અને અન્ય શ્રદ્ધાળુઓએ મંદિર અંગે વિચાર્યું.
તેમના જણાવ્યા પ્રમાણે, સમાજના વિવિધ લોકો તેમને પરવડે તેવી રીતે કમ્યુનિટી હોલ, સ્કૂલ હોલ અને પોતપોતાના ઘરે પ્રાર્થના સભાનું આયોજન કરવા લાગ્યા.
કોઇના ઘરે બે કાર સમાય તેટલું મોટું ગેરેજ હોય તો ત્યાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવતું હતું.
જોકે, થોડા સમય બાદ ઉમેશ ચંદ્રા અને તેમના અન્ય સાથીદારોએ બૂન્ડાલ સ્ટ્રીટ પર મંદિરના નિર્માણનો પાયો નાખ્યો અને આજે આ મંદિર તેની 28મી જયંતિ ઉજવી રહ્યું છે.
ઉમેશ ચંદ્રાનું સન્માન થશે
ક્વિન્સલેન્ડમાં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃતિ કરનારા ઉમેશ ચંદ્રાનું મેડલ ઓફ ધ ઓર્ડર ફોર ઓસ્ટ્રેલિયા દ્વારા સન્માન કરવામાં આવશે.
હિન્દુ સોસાયટી ઓફ ક્વિન્સલેન્ડના લાંબાગાળાના સભ્ય અને હાલમાં પ્રમુખ એવા ઉમેશ ચંદ્રા ક્વિન્સલેન્ડમાં નવા માઇગ્રન્ટ્સને વિવિધ પ્રકારની મદદ કરવાનું પણ કાર્ય કરે છે.
વર્ષ 2009માં મેલ્બર્ન અને સિડનીમાં જ્યારે ભારતીય લોકો પણ હુમલા થઇ રહ્યા હતા તે સમયે ક્વિન્સલેન્ડ સરકારે ઉમેશ ચંદ્રને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ લાયસન ઓફિસર તરીકે નીમ્યા હતા.
પોલીસ સાથે કાર્ય કર્યું
ઉમેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે ક્વિન્સલેન્ડ સરકારનું સકારાત્મક વલણ રાજ્યમાં હિંસક વાતાવરણ નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યું હતું.

ઉમેશ ચંદ્રાએ ભારતીય લોકો સાથે ઘટી રહેલી ઘટનાઓ વખતે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરી હતી. તેમણે નવા માઇગ્રન્ટ્સને સહારો આપ્યા ઉપરાંત આત્મહત્યા કરનારા લોકોના શરીરને ભારત પરત મોકલવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
વિવિધ સન્માન
ગયા વર્ષે ઉમેશ ચંદ્રા અને તેમની પત્નીને વિવિધ સામાજીક પ્રવૃત્તિઓમાં યોગાદાન આપવા બદલ બ્રિસબેન સિટીઝન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો.
તેમણે વિવિધ સમાજ અને ધર્મમાં એકતા અને અખંડિતતા જળવાઇ રહે તે માટે પણ કાર્યો કર્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, મંદિરનું નિર્માણ એક વિશેષ મહત્વ ધરાવે છે. તેઓ દર મંગળવારે અહીં આવે છે અને પ્રાર્થના કરીને તેમના મનને શાંતિ પ્રાપ્ત થાય છે.

