કોરોનાવાઇરસની મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી બન્યું છે ત્યારે, જીમ બંધ કરવામાં આવ્યા છે, કેટલાક બિચ પણ બંધ છે આ ઉપરાંત, જાહેર સ્વિમિંગ પૂલમાં પણ તરવા જવા પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે.
જ્યારે, પાર્ક્સ ખુલ્લા છે, પર્સનલ ટ્રેનિંગ કરી શકાય છે, ગોલ્ફ ક્લબ્સની પણ મુલાકાત લઇ શકાય છે.
તેથી જ, કોરોનાવાઇરસના પ્રતિબંધમાં કસરત કરવા ક્યાં જવું અને ક્યાં ન જઇ શકાય તે અંગે ઘણા લોકો મૂંઝવણમાં છે.
એક નજર કરીએ સરકારની માર્ગદર્શિકા પર...
ઓસ્ટ્રેલિયન સરકારની માર્ગદર્શિકા પ્રમાણે, ઘરે રહેવું જ હિતાવહ છે પરંતુ વ્યક્તિગત રીતે અથવા અન્ય એક વ્યક્તિ સાથે નજીકમાં આવેલા પાર્કમાં કસરત કરવા જઇ શકાય છે. જો, તે અન્ય વ્યક્તિ ઘરની સભ્ય ન હોય અને ટ્રેનર હોય તો તેની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે.
સિડનીના નોર્થવેસ્ટ બાજુએ આવેલા કેસલહિલ વિસ્તારમાં જીમ ધરાવતા જ્હોન સેલ્ટરે જણાવ્યું હતું કે, 23મી માર્ચના રોજ અમને જીમ બંધ કરવાની નોટિસ મળી હતી. તે અગાઉ અમારા જીમમાં 500 લોકો કસરત કરવા માટે આવતા હતા. હવે, માત્ર 2 વ્યક્તિઓ કસરત કરે છે.

કસરત, શારીરિક શ્રમમાં ઘટાડો નોંધાયો
હાલમાં મોટાભાગના લોકો ઘરેથી કાર્ય કરતા હોવાના કારણે તેમના શારીરિક શ્રમ કે ચાલવાની ક્રિયામાં ઘટાડો નોંધાયો છે. સેલ્ટરના જણાવ્યા પ્રમાણે, કોઇ પણ પ્રકારની બિમારી સામે લડવા માટે શારીરિક તંદુરસ્તી જરૂરી છે. તંદુરસ્ત શરીર બિમારી સામે લડવામાં મદદરૂપ થાય છે.
લોકો જીમમાં આવતા બંધ થઇ જતા હવે સેલ્ટર ઓનલાઇન ક્લાસ ચલાવે છે, લોકો ઘરેથી જ કસરત કરતા હોવાના કારણે કસરત કરવાના સાધનો ઝડપથી વેચાઇ રહ્યા છે.
બીજી તરફ, ગોલ્ફ ક્લબ્સ ચાલૂ રહી શકે છે પરંતુ તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી બન્યું છે. જોડી બનાવીને રમી શકાય છે, જોકે, ગોલ્ફકાર્ટમાં ફક્ત એક જ વ્યક્તિ બેસી શકે છે.
ચેસ્ટવૂડ ગોલ્ફ ક્લબના જનરલ મેનેજર એરોન વેટનરે જણાવ્યું હતું કે તેમણે ગોલ્ફ ક્લબના સંચાલનની પદ્ધતિ બદલી છે.તેમણે ઉમેર્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે ગોલ્ફ રમવાનો સમય તથા ગ્રૂપની સંખ્યામાં ફેરફાર કર્યો છે.

શારીરિક રીતે પ્રવૃત્તિશીલ રહેવાથી માનસિક સ્વાસ્થ્ય પણ જળવાય છે.
બ્લેક ડોગ ઇન્સ્ટીટ્યૂટના ક્લિનીકલ સાઇકોલોજીસ્ટ ડો અલિઝા વેર્નેર સેડલરના જણાવ્યા પ્રમાણે, અઠવાડિયામાં ત્રણ વખત નિયમિત રીતે 20 મિનિટ ચાલવાના કારણે માનસિક તણાવનો ભોગ બનાતું નથી. શારીરિક રીતે ફિટ રહેવાની અસર ફક્ત શરીર પર જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે.
મેડિટેશન જેવી પ્રવૃત્તિ કરવાથી પણ વર્તમાન પરિસ્થિતીમાં ચિંતા અને તણાવથી મુક્તિ મળે છે, તેમ સેડલરે ઉમેર્યું હતું.



