ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો ક્યારે શરૂ થશે?
કેન્દ્રીય સરકારે તાજેતરમાં ઇમર્જન્સીનો સમય ત્રણ મહિના માટે લંબાવ્યો છે. મતલબ કે 17મી જૂન 2021 સુધી ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ રહેશે.
અને, મંજૂરી વિના ઓસ્ટ્રેલિયન નાગરિક કે પર્મેનન્ટ રેસીડેન્ટ્સ ઓસ્ટ્રેલિયા છોડી કે પ્રવેશ કરી શકશે નહીં.
ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર વિશ્વમાં જાહેર આરોગ્ય પર કોરોનાવાઇરસનો ખતરો યથાવત્ છે. તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટી ઓફ સિડનીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ક્લિનીકલ એપીડેમિયોલોજીસ્ટ ડો ફિયોના સ્ટાનાવેના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાની સરહદો ફરીથી શરૂ કર્યા અગાઉ કેટલાક તકેદારીના પગલાં લેવા જરૂરી છે.

પ્રથમ પગલાં અંતર્ગત, અન્ય દેશોમાં કોરોનાવાઇરસની પરિસ્થિતી પર ધ્યાન તથા બીજું, ઓસ્ટ્રેલિયામાં કેટલા લોકોને રસી અપાઇ છે.
ત્રીજું અને મહત્વનું પગલું છે કે રસીકરણ બાદ કોરોનાવાઇરસનું સંક્રમણ અટકાવવામાં કેટલી સફળતા પ્રાપ્ત થઇ છે. જોકે, આ આંકડા હાલના તબક્કે ઉપલબ્ધ નથી.
આપણે ક્યારે આંતરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થાય તેવી આશા રાખી શકીએ?
વર્તમાન સમયમાં વિશ્વના વિવિધ દેશોમાં કોરોનાવાઇરસની પરિસ્થિતી અનિશ્ચિત હોવાથી કોઇ ચોક્કસ તારીખ આપવી મુશ્કેલ છે.
વર્લ્ડ ટ્રાવેલ પ્રોટેક્શનના ટ્રાવેલ રીસ્ક મેનેજમેન્ટના ચીફ એક્સીક્યુટીવ એડ્રિયન લીચ જણાવે છે કે વર્ષ 2022 ના પ્રથમ ત્રિમાસીક ગાળા સુધી આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થાય તેમ લાગતું નથી.
તેમણે ઉમેર્યું હતું કે, જુલાઇ 2021 માટે બુકિંગ શરૂ થઇ ગયા છે પરંતુ વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થાય તેમ લાગી રહ્યું છે.
આ સમયગાળા દરમિયાન વિવિધ દેશોમાં રસી કેટલી સફળ થઇ તેના આંકડા પણ ઉપલબ્ધ થશે અને આરોગ્ય અધિકારીઓ રસી દ્વારા નક્કી કરેલો લક્ષ્યાંક હાંસલ થયો છે કે કેમ તે નક્કી કરી શકશે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા કેટલાક દેશો માટે સરહદો શરૂ કરે તેવી શક્યતા છે.
ડો સ્ટાનાવેએ જણાવ્યું હતું કે તાઇવાન જેવા દેશ કે જ્યાં સંક્રમણનું પ્રમાણ નહીવત્ત છે તેવા દેશો માટે સરહદો ખુલી શકે છે.
જે એશિયા - પેસિફીક દેશોએ વાઇરસનું સંક્રમણ અટકાવવામાં સફળતા મેળવી છે તેવા દેશોમાં પ્રવાસ શક્ય થઇ શકે છે અને, જે દેશોમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે ત્યાં થોડા વધુ સમય માટે પ્રવાસ શક્ય ન બને.
વેક્સીન પાસપોર્ટ શું છે અને તે કેવી રીતે કાર્ય કરશે?
સંક્રમણના ઓછા જોખમ સાથે વિદેશ પ્રવાસ કરવાની લોકોને મંજૂરી આપવા માટે કેટલીક એરલાઇન કંપની 'રસી નહીં તો પ્રવાસ નહીં' ની પોલિસી અમલમાં મૂકે તેવી શક્યતા છે.
મતલબ કે આંતરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરી કરતા અગાઉ COVID-19 રસી મૂકાવવી જરૂરી છે.
અહીંથી જ વેક્સીન પાસપોર્ટનો વિચાર આવ્યો છે.
લીચે જણાવ્યું હતું કે આ ડોક્યુમેન્ટની મદદથી રસી લીધી હોવાનું મુસાફર સાબિત કરી શકશે. તે ડિજીટલ અથવા દસ્તાવેજ સ્વરૂપે હશે.
ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં વેક્સીન પાસપોર્ટની શક્યતા અંગે વિચારણા ચાલી રહી છે.
લીચે ઉમેર્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા વેક્સીનેશન પાસપોર્ટ અંગે વૈશ્વિક માર્ગદર્શિકા ઉપલબ્ધ કરાવે તેવી શક્યતા છે.
કેટલાક વેક્સીન પાસપોર્ટ અગાઉથી જ નિર્માણ હેઠળ છે.
ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA) 290 એરલાઇન્સ કંપનીઓનું પ્રતિનિધીત્વ કરે છે. તે ડિજીટલ હેલ્થ પાસ બનાવવા પર કાર્ય કરી રહી છે.
આ પાસ મુસાફરનો કોરોનાવાઇરસનો ટેસ્ટ તથા રસી વિશેની માહિતી દર્શાવશે.
એર ન્યૂઝીલેન્ડ એપ્રિલ મહિનાથી ઓકલેન્ડ અને સિડની વચ્ચેની ફ્લાઇટમાં આ એપ્લિકેશન શરૂ કરવા જઇ રહી છે.

રસી મેળવનારા મુસાફરોએ ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટાઇન થવું પડશે?
ટૂંકમાં જવાબ છે હા, વર્તમાન સંજોગોમાં ક્વોરન્ટાઇન થવું પડશે.
ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સમયમાંતરે કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવી ક્વોરન્ટાઇન થવાની નીતિના કારણે જ ઓસ્ટ્રેલિયા વૈશ્વિક મહામારી સામે લડવામાં સફળ થયું છે.
શું હું ઓસ્ટ્રેલિયા આવવા કે બહાર જવાની ફ્લાઇટનું બુકિંગ કરી શકું?
ક્વોન્ટાસે જણાવ્યું છે કે તે કોરોનાવાઇરસ અગાઉ મોટાભાગના જે દેશોમાં સુવિધા ઉપલબ્ધ કરાવતું હતું ત્યાં 31 ઓક્ટોબર 2021થી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહ્યું છે.
કેન્દ્ર સરકારે પણ ઓસ્ટ્રેલિયામાં તમામ વયસ્ક લોકોને 31મી ઓક્ટોબર સુધીમાં રસી આપી દેવાનું અનુમાન લગાવ્યું છે.
પરંતુ, નિષ્ણાતોના માનવા પ્રમાણે વિશ્વમાં કોરોનાવાઇરસની પરિસ્થિતી અંગે અનિશ્ચિતતા હોવાથી હાલમાં ટિકીટ બુક ન કરાવવી જોઇએ.

